
અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં રવિવારે AC ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય કેટલાક લોકો દાઝી ગયા છે. રવિવારે લાગેલી આગની ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને સેમ્પલ એકઠા કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્પાર્ક અથવા ગેસમાં લીકના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. બનાવના સ્થળે 1300થી વધુ બ્યુટેન ગેસના કેન ઘરમાં સ્ટોર કરેલા હતા.
ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડની એક ટીમ ફરીથી ઘટનાસ્થળે પહોંચી હતી. કારણ કે પડોશીના ઘરની અંદર હજુ પણ આગ હતી. આ બ્લાસ્ટના કારણે આસપાસના મકાનો અને વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
રહેણાક વિસ્તારમાં કઈ રીતે ચાલતું હતું ગોડાઉન?
પ્રાથમિક માહિતી અનુસાર રહેણાક મકાનમાં જ ACનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું જેમાં આગ લાગી હતી. આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10થી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પણ ઉડીને આંખે વળગી રહી છે.
રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ગોડાઉન : જ્વાળામુખી સમાન
હાલ ગરમીની સીઝન ચાલતી હોવાથી માત્ર અમદાવાદ જ નહી પણ સમગ્ર ગુજરાતમાં એસી રીપેર અને સર્વિસની કામગીરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. જેના પરિણામે જ્ઞાનદા સોસાયટીની માફક અમદાવાદમાં અનેક સ્થળોએ એસસી સર્વિસના સાધનો મુકવા માટે ફાયર સેફ્ટી વિનાના ગોડાઉન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અન્ય શહેરોમાં પણ આ સ્થિતિ છે. જેના કારણે ભીષણ આગની ઘટના બની શકે છે. ત્યારે નિયમોનો ભંગ કરતા તત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.