
કોઇપણ પ્રકારની લેખિત અરજી કે માંગણી વિના જ પત્નીની તરફેણમાં શું Family Court કાયમી ભરણપોષણ માટેની રકમ નક્કી કરી શકે? અથવા તો શું ભરણપોષણ માટેના કાયમી મુદ્દા નિર્ણિત કર્યા વિના કે, પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા વિના ભરણપોષણની રકમ કોર્ટ નક્કી કરી શકે? એ મતલબના કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કરતાં કેસમાં ગુજરાત હાઇકોર્ટે નકારમાં જવાબ આપ્યો છે. હાઈકોર્ટે પત્ની તરફથી આવી કોઇ લેખિત અરજી વિના કે પુરાવાના મૂલ્યાંકન વગર જ ફેમીલી કોર્ટ દ્વારા પત્નીને કાયમી ભરણપોષણ પેટે 70 લાખ ચૂકવી આપવા અંગેના Family Court ના હુકમને અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો.
પત્નીને રૂ.70 લાખના ભરણપોષણનો હુકમ હાઇકોર્ટે રદ ઠરાવ્યો
Family Court ના હુકમને પડકારતી પતિ દ્વારા કરાયેલી અપીલ મંજૂર રાખતાં એકટીંગ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની ખંડપીઠે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે આ મામલો પુરાવાઓનું મૂલ્યાંકન કરી કાયદાનુસાર નિર્ણિત કરવા માટે ફેમીલી કોર્ટ, વડોદરાને મોકલી આપ્યો હતો અને દસ સપ્તાહમાં યોગ્ય નિર્ણય લેવા હુકમ કર્યો હતો.
ખંડપીઠે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, 'હિન્દુ મેરેજ એક્ટની કલમ-25ની જોગવાઇ પરથી સ્પષ્ટ છે કે, કાયમી ભરણપોષણ માટે અરજી થયેલી હોવી જરૂરી છે. પ્રસ્તુત કેસમાં પત્ની તરફથી લેખિત અરજી પણ કરાઇ ન હતી કે, તથ્યો મુજબ, મૌખિક વિનંતી પણ કરાઇ ન હતી. પત્ની તરફથી નાણાંકીય રાહત માટેનો કોઇ ચોક્કસ દાવો કરાયો ન હોવા છતાં ફેમીલી કોર્ટે તેને રાહત આપતાં પહેલા લગ્નગાળો, પતિ-પત્નીની કમાવાની ક્ષમતા, તેમની ઉંમર, સ્વાસ્થ્ય, જીવનધોરણ, લગ્નજીવનમાં તેમના નાણાંકીય અને બિન નાણાંકીય સહયોગ સહિતના મુદ્દાઓ ઘ્યાનમાં લેવાની જરૂર હતી. ફેમીલી કોર્ટે સંબંધિત મુદ્દાઓ ઘડયા વિના કે, પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા વિના જ પત્નીની તરેફેણમાં કાયમી ભરણપોષણની રકમ નક્કી કરી દીધી છે, જે કાયદાકીય જોગવાઇ મુજબનો હુકમ ન કહી શકાય.
કેસની વિગત મુજબ, વર્ષ 2002માં લગ્ન થયા બાદ 2005માં પતિ અમેરિકા ગયો હતો. બાદમાં તેમના ઘરે બીજા દિકરાનો પણ જન્મ થયો હતો. વર્ષ 2012માં પતિની આવક 1.15 લાખ ડોલર પર પહોંચી હતી. જો કે, બંને વચ્ચેની લગ્નજીવનની તકરારને લઈ વડોદરા ફેમીલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ બંનેએ દાખલ કર્યો હતો. જેમાં વર્ષ 2019માં ફેમિલી કોર્ટે પત્નીને કાયમી ભરણપોષણ પેટે 70 લાખ ચૂકવી આપવા પતિને હુકમ કર્યો હતો. જેનાથી નારાજ થઈ પતિ તરફથી હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી.