
Amreli News: ગુજરાતના વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડ્યો હતો. જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેવામાં બીજી તરફ, અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના થતાં ટળી છે. જેમાં રાજુલામાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટ ઓલવરલોડ હોવાના કારણે પલટી ખાઈ ગઈ હતી. ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં બોટ પલટી
અમરેલીમાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટમાં રેતી સહિત ભારે મટીરીયલ ભરતા બોટ પલટી મારી ગઈ હતી. બોટ ઓવરલોડ થવાના કારણે પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 1 મહિલાને ઇજા થતાં રાજુલા હોસ્પિટલ બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કરાયા છે.
શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે આવજાવ રહે છે. રેતી સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે. બોટ પલટી મારવાની ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.