
Banaskantha news: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં યાત્રાધામ અંબાજી, પાલનપુર, ઈકબાલગઢ, અમીરગઢ, ગોળિયા, આંબાપાણી સહિતના ગ્રામય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેથી ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે, બાજરીની લણણીનો સમય હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાક પલળી જવાની આશંકાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે 15થી 21 જૂન દરમિયાન વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આજે 15મી જૂન રવિવારે બપોર બાદ બનાસકાંઠા જિલ્લાના જાણીતા યાત્રાધામ અંબાજી, અમીરગઢ, પાલનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી કાળઝાળ ગરમીમાં લોકોને થોડી રાહત અનુભવાઈ હતી. અંબાજીમાં વરસાદ પડતા અંબાજીની બજારોમાં પાણી વહેતાં થયા હતા.વરસાદ પડતાં બાજરી એરંડા મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદના આગમન બાદ ખેડૂત પુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન સાંજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ થતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પાલનપુર-અંબાજી હાઈવે, પાલનપુર-આબુરોડ તેમજ આરટીઓ ચેક-પોસ્ટ ખાતે પણ ટ્રાફિક જામ થયો હતો. પાલનપુર શહેરના ખોડિયાર નગર, હાઈવે, ઢૂંઢિયાવાડી સહિતના વિસ્તારમાં વરસાદ માહોલ જામતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.