છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાંખી વિચારમાં પડી જતા હોય છે. કારણ કે ચોમાસાની સીઝનમાં કીમ નદીમાં ઘોડાપુર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યુ હોઈ તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠીન બનતુ હોય છે. જેથી વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી જતી હોય છે.
તંત્ર આંધળું અને બહેરું
ગ્રામજનો કમર કે ઘૂંટણ સમા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જતા હોય છે.ત્યારે મંગળવારની સાંજે કેડ સમા કીમ નદી માંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા. આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય,ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. પરંતુ આંધળું અને બહેરુ તંત્ર કંઈપણ સમજવા કે પગલાં લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
નાળુ બનાવી આપવા માંગ
દર ચોમાસામાં આ સમસ્યા સર્જાતી હોય છે. તેમ છતાં તંત્ર કે નેતા કોઈ ધ્યાન ન આપવાના કારણે આવા દ્રશ્યો સામે આવતા હોય છે.ત્યારે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે તે પ્રકારનું નાળુ સરકાર બનાવી આપે તેવી માંગ કરવામાં આવી છે.