ગુજરાતભરમાંથી સતત નદી તથા તળાવમાંથી ડુબવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં નવસારી તથા દ્વારકામાંથી ડુબવાની ઘટના સામે આવી રહી છે. જેમાં નવસારીમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે દ્વારકામાં 2ની શોધખોળ ચાલી રહી છે.
નવસારીમાં પ્રસંગમાં આવેલા તળાવમાં નહાવા માટે ઉતર્યા
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા નીમલાઈ ગામે તળાવમાં ડૂબી જતા મુંબઈના એક ડોક્ટરનું મોત નીપજ્યું હતું. મુંબઈથી લગ્ન પ્રસંગમાં નવસારી આવ્યા હતા જ્યાં ત્રણ લોકો તળાવમાં નાહવા પડ્યા હતા. જેમાંથી બે લોકો બહાર નીકળી ગયા પરંતુ સત્વશીલ સદાશિવ રાણે નામના ડોક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સ્થાનિકોએ શોધ ખોળ કરતા ન મળતા નવસારી ફાયરને જાણ કરવામાં આવી હતી. નવસારી ફાયરે તેમને શોધી ૧૦૮ મારફતે યશફીન હોસ્પિટલ ખાતે લાવતા મૃત જાહેર કરાયા હતા. હાલમાં મૃતદેહને પીએમ માટે મરોલી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકામાં ગોમતીઘાટમાં પણ ત્રણ ડૂબ્યા, 2 હજુ લાપતા
દ્વારકામાં આવેલ ગોમતીઘાટ નદી અંદર ત્રણ લોકો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. પાટણ જિલ્લાના યાત્રિક પરિવાર સાથે ગોમતી નદીમાં સ્નાન કરતા હતા એ સમયે ત્રણ લોકો એકા એક ડૂબવા લાગ્યા હતા. ત્રણ લોકો ડૂબવાથી સ્થાનિક તરવૈયો દ્વારા બચાવની કામગીરી શરૂ કરતાં બે લોકો ગોમતી અંદર લાપતા થયા હતા. અન્ય એકને બચાવી લેવામાં આવ્યો બચેલ યુવકને 108ની મદદથી દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પરિવાર સાથે આવેલ પાટણ જિલ્લાના યાત્રિક મામા અને ભાણેજ ગોમતી અંદર લાપતા હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. નગરપાલિકાની ફાયર ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાપતા બંને લોકોની શોધખોળ કરાઈ રહી છે.