
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ગરમાગરમ માહોલ ગૃહમાં પણ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય ઝઘડી પડ્યા હતા. ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વચ્ચે ગૃહમાં જ ઉગ્ર બોલાચાલી થઇ હતી.ઐતિહાસિક તથ્યો મામલે રમણલાલ વોરા-જીગ્નેશ મેવાણી વચ્ચે શાબ્દિક ટકરાવથી માહોલ ગરમાયો હતો.
રમણલાલ વોરા અને જીગ્નેશ મેવાણી વચ્ચે ગૃહમાં બબાલ
ઇડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના પત્ની સવિતાબેન આંબેડકરનો ઘરનો સામાન અને ફર્નિચર રોડ ઉપર ફેંકી દીધું હતું. આ મુદ્દે તેમના અને કોંગ્રેસના જીગ્નેશ મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મેવાણી દ્વારા એવો દાવો કરાયો હતો કે, 'રમણલાલ વોરાએ તેમના સંબોધનમાં ડૉ.આંબેડકર અંગે જે ઉલ્લેખ કર્યો છે તેના કોઇ ઐતિહાસિક પુરાવા જ નથી...'
આ પછી રમણલાલ વોરા બિભત્સ અપશબ્દો બોલ્યા હતા જેના કારણે મેવાણીએ પણ સામે જવાબ આપતા કહ્યું કે, 'તમે કેટલી જમીન પચાવી પાડી છે, તે હું જાણું છું, મારૂં મોઢું વધારે ખોલાવો નહીં...' આ મામલે બન્ને વચ્ચે બોલાચાલી થતાં તેમના માઇક પણ બંધ કરવાની ફરજ પડી હતી.
રમણલાલ વોરા જમીન કૌભાંડમાં ફસાયા
ખેડૂત તરીકેના લાભ મેળવવા ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત બનવા મામલે ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. ગાંધીનગરના પાલેજની જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરવાનો વિવાદ તો હજુ શમ્યો નથી. ત્યાં જ ઇડરના દાવડની સીમની જમીન બાબતે પણ આક્ષેપો થતાં કલેક્ટર તંત્રએ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.
અમદાવાદના નારોલમાં રહેતા પ્રકાશ એલ. પરમાર નામના નાગરિકે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમના સર્વે નં. 584, 549, 551 અને 581ની જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત બિનખેડૂત હોવા છતાં ખોટી રીતે ખેડૂત તરીકે દાખલ થયેલા છે. જેની તાકીદે તપાસ કરી કાયદેસર કાર્યવાહી માટે માંગ કરી હતી.
અરજદારે આ સમગ્ર પ્રકરણમાં ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરેલી હોવાથી આખરે કલેકટર કચેરી લેખિત થકી ઇડરના નાયબ કલેકટરને નિયમોનુસાર કાર્યવાહી કરી આધાર પુરાવા સાથેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું હતું.
જો કે, જાણવા મળતી બિનસત્તાવાર માહિતી મુજબ દાવડની સદર જમીનનો અન્યને નામે રિવર્સ દસ્તાવેજ થઈ છે. જો રિવર્સ દસ્તાવેજ થયો હોય તો કેમ રિવર્સ કરવો પડ્યો તે પણ તપાસનો વિષય છે.