
Gir Somnath News: ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં પીપળવા ગામે મહીલાનું પ્રસૂતિ દરમિયાન થોડા દિવસો પહેલા મોત નિપજયુ છે. મરણ જનાર કવિબેન નંદાણિયાના પતિ જયેશભાઈએ તેમના પત્નીનું સિઝેરિયન ઓપરેશન કરનાર વઘાસિયા હોસ્પિટલના ડો. અક્ષય હડિયલ વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધવા અરજી આપી હતી. તાલાલા પોલીસે જે તે વખતે પરણિતાના શબનું પેનલ પીએમ કરાવ્યું હતું અને જિલ્લા મેડિકલ ઓફિસરને પત્ર લખી કવિબેનના મૃત્યુમાં ડોક્ટર અક્ષય હડિયલની બેદરકારી છે કે કેમ તે વિગતો પૂરી પાડવા પત્ર લખ્યો હતો.
જિલ્લા મેડિકલ ઓફિસરે ત્રણ ડોક્ટરોની પેનલ બનાવી તપાસ કરી
એક માસથી વધુ સમય તપાસ કરી અને આ તપાસમાં સામે આવ્યું કે, પરણીતાને સિઝેરિયન કરવા એનેસ્થિસિયા આપવું પડે તેમ હોય એને એનેસ્થિસિયાના નિષ્ણાત ઉપલબ્ધ ન હોવાથી ડોક્ટર હડિયલે એનેસ્થિસિયા આપી અને દર્દીને બેભાન કરી સારવાર કરી હતી. સિઝેરિયન દરમિયાન રક્તસ્ત્રાવ વધુ થવા લાગતા આઈ.સી.યુની સુવિધા ન હોવાથી દર્દીને રિફર કરવાને બદલે પોતે સમય બગાડી સારવાર ચાલુ રાખી, જેથી રક્તસ્રાવ વધુ થઈ જતા કવિબેનનું મૃત્યુ થયું હતું.
જિલ્લા મેડિકલ ઓફિસરે આ રિપોર્ટ તાલાલા પોલીસને મોકલ્યો
જેથી ડોક્ટરની સ્પષ્ટ બેદરકારી તપાસ ટીમની સામે આવ્યું હોવાથી આ અંગેનો રિપોર્ટ જિલ્લા મેડિકલ ઓફિસરે તાલાલા પોલીસને ગત તારીખ 1 જુલાઈના મોકલ્યો હતો. જેના આધારે તાલાલા PI જે.એન. ગઢવીની સૂચનાથી મૃતક પરણીતાના પતિ જયેશભાઈને પોલીસ સ્ટેશને બોલાવી તેમની ફરિયાદ લઈ ડોક્ટર અક્ષય હડિયલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તાલાલા પંથકમાં આ ડોક્ટરની બેદરકારી અંગે અગાઉ પણ બે મહિલાઓના મૃત્યુ બાબતે સવાલો ઉઠ્યા છે.
બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
કવિ બેનના મૃત્યુથી 5 વર્ષનો દીકરો મહર્ષ અને નવજાત બાળકી આધ્યા માતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે. તાલાલા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા આ ડોક્ટર સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ છોડી ખાનગી હોસ્પિટલ ભાડે રાખી અને પ્રેક્ટિસ કરતા હોય જ્યાં પીપળવાના પરિણીતા કવિબેન નંદાણીયાનું સારવાર દરમિયાન મોત થતા ડોક્ટરની બેદરકારી ખુલીને સામે આવી છે. તાલાલા પોલીસ એ BNSની કલમ 106(1) (બેદરકારીથી મૃત્યુ નિપજાવવા) મુજબનો ગુનો ડોક્ટર સામે નોંધ્યો છે. ફરિયાદ બાદ ડોક્ટરની ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.