
Jamnagar news: જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રિજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં ગત 28 એપ્રિલના રોજ દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હોવાની પ્રાથમિક વિગતો જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના હાપા-ગુલાબનગર બ્રિજ પાસે ઝડપાયેલા અનાજમાં 26,250 કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ.10,23,7450, 13,990 કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ. 3,77,730, 390 કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ.10,530 અને 300 કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂ.16,500નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી 4 રિક્ષા, 1 મોટરસાઇકલ અને 5 વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.આમ, તંત્ર દ્વારા કુલ રૂ.16,51,510/-નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે.તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું હતું.