
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલાં રાજ્યનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ ચિંતામાં છે. જામનગર શહેર સહિત ગ્રામ્યમાં અકસ્માતના આવા કિસ્સા પણ સતત વધ્યા છે. આવો જ અકસ્માત જામનગર-લાલપુર હાઈવે પર બે વાહન વચ્ચે થયો હતો. જેમાં એકનું મોત થયું હતું.
જામનગરનો લાલપુર હાઈવે અકસ્માતનો ઝોન બની ગયો હોય તેવું બની રહ્યું છે. લાલપુર હાઈવે પર ચેલા-ચાંગાના પાટિયા પાસે મિનિ બોલેરે અને મિનિ બસ અથડાયા હતા. જેમાં સિમેન્ટ ભરેલી મિનિ બોલેરોના ડ્રાયવરનું ઘટનાસ્થળે મોત થયું હતું. સિમેન્ટની ભારે બોરીઓ નીચે આવી જતા ડ્રાયવરનું મોત નિપજયું હતું. બસચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં ખાનગી બસ પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. હાઈવે પર અકસ્માત થયાની જાણ થતા પોલીસ અને 108ની ટીમે ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે મૃતક ડ્રાયવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયો હતો.