
ખેડા જિલ્લાના માતરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ગરીબોને સરકાર તરફથી આપવામાં આવતું સસ્તા ભાવનું અનાજ બારોબાર વેચી દેવાનું સામે આવ્યું છે. અને તંત્રએ અધધ કરોડો રૂપિયાનો સસ્તા અનાજનો જથ્થો જપ્ત કર્યો છે.
રાજ્ય સરકારની નેમ છે કે, કોઈપણ ગરીબ ભૂખ્યો ન સૂવે પરંતુ સરકારી પરવાનેદાર આ સસ્તું અનાજ બહાર માર્કેટમાં બારોબાર વેચીને રોકડી કરીને પોતાનું ઘર ભરતા હોવાનું સામે આવ્યું છે. માતર તાલુકાના મહેલમાં જેન્ટલ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ મહેલજ ખાતે ખેડા જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગી અને તેમની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 280 ટન ચોખા, 63 ટન ઘઉં-બાજરી, 1500 કિલો દીવેલા, 3780 કિલો કણકી બધું મળીને એક કરોડ 47 લાખનો સસ્તા અનાજનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગીની ટીમે શંકાસ્પદ સરકારી જથ્થો સીઝ કરી નમૂના લઈને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારી અનાજનો અધધ જથ્થો સીઝ કરીને આ સમગ્ર માહિતી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ સમક્ષને આપી દેવામાં આવી છે.