
Porbandar News: પોરબંદરમાં સાયબર ફ્રોડ કેસ મામલે હિરલબા જાડેજાની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સાયબર ફ્રોડના મુખ્ય આરોપી હિરલબા જાડેજાના પોરબંદર કોર્ટે જામીન ના મંજુર કર્યા છે. ત્રણ દિવસ પહેલા જ હિરલબાએ એમના વકીલ મારફત પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ગઈકાલે સરકારી વકીલ અને આરોપી હિરલબાના વકીલે ધારદાર દલીલો કરી હતી. એવામાં આજે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે જામીન અરજી ના મંજુર કરતો હુકમ કર્યો છે.
સાયબર ક્રાઇમે ફરિયાદી બની દાખલ કર્યો હતો ગુનો
હિરલબા જાડેજા અને તેમના અન્ય કેટલાક સાથીદારોએ નાના-નાના માણસોના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે, તે સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી. સાયબર ક્રાઇમની કેન્દ્રીય લેવલની જે સિન્ડિકેટ છે, તે અંતર્ગત આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. તેથી, ક્રાઇમ બ્રાન્ચે હિરલબા જાડેજા અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકો હિતેશ વડોદરા, પાર સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ અને રાજુ મેર સામે IPC ની કલમ 411, 413, 420, 120(B) અને IT એક્ટની કલમ 66 (B) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અપહરણ અને ખંડણી કેસમાં હિરલબાને મળી હતી રાહત
પોરબંદર શહેરમાં રૂપિયા 70 લાખની લેવડ-દેવડ અંગે સૂરજ પેલેસ બંગલામાં 3 લોકોને ગોંધી રાખી તેઓને માર મારવાના ગુનામાં હિરલબા જાડેજા હાલ જૂનાગઢ જેલ હવાલે છે ત્યારે તેમને અને તેઓના 5 સાગરિતો મળી કુલ 6 સામે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો દાખલ થયો હતો. તેને લઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક લાખના બોન્ડ પર જામીન પર છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. જો કે, સાયબર ફ્રોડ કેસમાં હિરલબાને હજી જેલમાં જ રહેવું પડશે.