
છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં યુવાનો કેનાલ કે તળાવમાં ડૂબવાની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. હજુ ગઈકાલે જ ધુળેટીના દિવસે ભરુચમાં ચાર અલગ અલગ સ્થાનો પર કુલ પાંચ યુવાનોના ડૂબવાની ઘટના સામે આવી હતી જેમાં માત્ર એક જ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે થોડા સમય પહેલા અમદાવાદ અને વડોદરા શહેરમાંથી પણ યુવાનો કેનાલમાં ડૂબવાની ઘટના સામે આવી હતી એવામાં રાજકોટમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે જેમાં એક તળાવમાં ત્રણ યુવકો નહાવા માટે ઉતર્યા હતા અને તેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા તળાવમાં નહાવા જતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લામાં લોઠડા પાસેના તળાવમાં 3 યુવકો ડૂબ્યા હતા, જેમાં 2 યુવાનો પોતાનો જીવ બચાવી બહાર નીકળ્યા અને એક યુવાનનું મોત નિપજ્યું છે. ડૂબવાની ઘટનામાં અર્જુન મકવાણા નામના યુવાનનું મોત થયું છે. મામલાની જાણ થતાં જ પોલીસ, 108ની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.