
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા એકતરફી અને પક્ષપાતપૂર્ણ વલણ અપનાવાય છે. એવો ગંભીર આક્ષેપ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપુતે કર્યો છે.સાથે જ તેમણે માંગણી કરી છે કે તમામ રાજકીય પક્ષો માટે સમાન કાયદાકીય ધોરણો લાગુ થવા જોઈએ અને પોલીસ તંત્રે પક્ષપાત વગર કામગીરી કરવી જોઈએ.
મંજુરી વિના કાર્યક્રમો યોજાયા
કોંગી નેતાએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસ પક્ષ લોકોના હિત માટે સરકારની વિરૂદ્ધ યોજાતા વિરોધ કાર્યક્રમો આકર્ષે છે. ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના નામે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરવામાં આવે છે. તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ, ભાજપ દ્વારા મંજુરી વિના કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે તેમને પોલીસથી સહકાર અને સુરક્ષા આપવામાં આવે છે.
પક્ષપાતના આરોપ
કોંગ્રેસનો આરોપ છે કે તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ભાજપના શહેર પ્રમુખ અને આગેવાનોએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પૂતળા દહન કર્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ પ્રસંગસ્થળે હાજર હોવા છતાં કોઈ પગલું ભરાયું નથી, જે પક્ષપાતની સાફ નિશાની છે. ધનસુખભાઈ રાજપુતે પ્રશાસનને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દોષિત ભાજપના આગેવાનો સામે કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ ભવિષ્યમાં કોઇપણ કાર્યક્રમ માટે પોલીસ મંજૂરીના આધાર વિના વિરોધ કાર્યક્રમો યોજશે. તેની સમગ્ર જવાબદારી પોલીસ વડાની રહેશે, એવું પણ તેઓએ જણાવ્યું.