
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે. ગઈકાલે હડતાળ પાડ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ રત્નકલાકારો સ્વયંભુ હડતાળમાં જોડાવાનું આહવાન કરાયું હતું. પરંતુ, મોટાભાગના રત્નકલાકારો હડતાળથી દૂર રહ્યા હતા. બે થી ત્રણ કારખાનાના કામદારો જ હડતાળમાં જોડાયા હતા. ઘણા રત્નકલાકારોએ આજે નારેબાજી કરી હતી.
રત્નકલાકારોની આવક ઘટી
રત્ન કલાકારોની આવક ઉપર 30 ટકા કરતાં વધુનો કાપ સરેરાશ મુકાઈ ગયો છે. કામના કલાકોમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. કામનો સમય ઓછો કરતાં સ્વભાવિક રીતે જ રત્ન કલાકારો વધારે હીરા ઘસી શકતા નથી તેને કારણે મહિનાના અંતે તેમની જે સેલરી થવી જોઈએ તે થઈ રહી નથી.
સરકારને વિનંતી
સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, આજે સાતથી આઠ અલગ અલગ વિસ્તારોમાં રત્ન કલાકારો કામકાજથી અળગા રહ્યા છે. અમે ગઈકાલે પણ રત્ન કલાકારોને અપીલ કરી હતી કે સ્વયંભૂ રીતે શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરજો કોઈપણ પ્રકારે રસ્તા ઉપર ઉતરવાની અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવો નહીં. જો આ રત્ન કલાકારો રસ્તા ઉપર આવી ગયા તો તકલીફ પડશે તેથી હું કંપનીના સંચાલકોને અપીલ કરું છું કે રત્ન કલાકારો ના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરની કમિટી બનાવવા માટે તેઓ પોતે આગળ આવે. સરકારને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે કમિટમેન્ટ કરવામાં આવ્યું છે તે પ્રકારે રત્ન કલાકારોને મદદ કરે.