
ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય રાજ્યના પ્રવાસે આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મહત્ત્વના બે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે. સુરતમાં રાત્રિ રોકાણ વખતે ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામે અંગે ચર્ચા થઈ શકે છે.
વડાપ્રધાન બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7-8 માર્ચ, 2025ના રોજ બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે. જેમાં તેમણે 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજર રહીને વૃદ્ધોમાં કિટનું વિતરણ કરશે અને સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.
નવસારીથી જશે દિલ્હી
8 માર્ચ મહિલા દિવસે નવસારીમાં યોજાવનારા કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજના સમયે તેમણે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે. બે દિવસના કાર્યક્રમને લઈને હાલ સુરત અને નવસારી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે.
ભાજપ પ્રમુખ માટે આ નામ ચર્ચામાં
હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઇ છે. પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુન સિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકરના નામ ચર્ચામાં છે. સી.આર.પાટિલની વિદાય બાદ ગુજરાત ભાજપના સુકાનીપદે કોને બેસાડાય તે મુદ્દે રાજકીય અટકળોનો બજાર ગરમ છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ જાળવી શકે તેવા નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવે તેવી ચર્ચાઓ મોદી સાથે થઈ શકે છે.