
એર ઇન્ડિયાના CEO એમડી કેમ્પબેલ વિલ્સને કહ્યું કે ગત મહિને અમદાવાદ વિમાન દુર્ઘટના પર AAIBના પ્રાથમિક રિપોર્ટમાં કેટલીક વસ્તુઓ સ્પષ્ટ થઇ ગઇ છે.પ્રાથમિક રિપોર્ટમાં વિમાન અથવા એન્જિનમાં કોઇ યાંત્રિક કે જાળવમી સંબંધિત સમસ્યા જોવા મળી નથી. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ ફરજિયાત જાળવણી કાર્ય પૂર્ણ થઇ ગયું છે.
કોઇ નિષ્કર્ષ કાઢવાનું ટાળો-CEO કેમ્પબેલ વિલ્સન
એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે,'અમે બધા વિમાનોની જરૂરી તપાસ ચાલુ રાખીશું અને ભવિષ્યમાં અધિકારીઓ દ્વારા ભલામણ કરાયેલા નવા વિમાનોની પણ આવી જ તપાસ કરીશું.' CEOએ જણાવ્યું હતું કે, ખૂબ કાળજી રાખીને, કાફલામાં રહેલા દરેક બોઇંગ 787 વિમાનની અકસ્માતના થોડા દિવસોમાં તપાસ કરવામાં આવી હતી અને તે કાર્યરત સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. CEO કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, AAIBના પ્રાથમિક અહેવાલમાં ન તો કોઈ કારણ આપવામાં આવ્યું છે અને ન તો કોઈ ભલામણ કરવામાં આવી છે, દરેકને અકાળે નિષ્કર્ષ કાઢવાનું ટાળવા વિનંતી કરવામાં આવે છે.
AI 171 ફ્લાઇટના પાયલોટોએ ચેલેન્જિંગ સિચુએશનમાં જવાબદારીથી કામ કર્યું
આ પહેલા ઇન્ડિયન કોમર્શિયલ પાઇલોટ્સ એસોસિએશન (ICPA)એ કહ્યું હતું કે ગયા મહિને ક્રેશ થયેલી AI171 ફ્લાઇટના પાઇલટ્સે પડકારજનક પરિસ્થિતિમાં તેમની તાલીમ અને જવાબદારીઓ અનુસાર કાર્ય કર્યું હતું અને અટકળોના આધારે પાઇલટ્સને બદનામ ન કરવા જોઇએ. એસોસિએશને પાઇલટ દ્વારા આત્મહત્યા કરવા અંગે કેટલાક વર્તુળોમાં ચાલી રહેલી અટકળોને સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય અને અંતિમ અહેવાલ જાહેર ન થાય ત્યાં સુધી કોઇ પણ અટકળો લગાવવી ના જોઇએ.
મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઇ ગઇ હતી. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 સહિત 275 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થતા એર ઇન્ડિયા વિમાન ક્રેશ કેવી રીતે થયું તેનો પ્રાથમિક રિપોર્ટ AAIB દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિમાન ક્રેશનું કારણ ફ્યુઅલ સ્વિચ ઓફને ગણવામાં આવ્યું છે.