
Banke Bihari Temple Controversy: વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારની યોજના ભક્તોની સુવિધા માટે 5 એકર જમીન પર કોરિડોર બનાવવાની છે, પરંતુ મંદિરના પૂજારી ગોસ્વામી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. એવામાં જાણીએ કે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે.
શા માટે કોરિડોરની જરૂર છે?
બાંકે બિહારી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ જ સંખ્યા તહેવારો કે રજાઓમાં લાખો સુધી પહોંચી જાય છે. મંદિર સુધી પહોંચવાના સાંકડા રસ્તાઓ અને અતિશય ભીડને કારણે વ્યવસ્થા બગડી જાય છે. આથી સરકાર આસમસ્યાનો ઉકેલ લાવવા અને શ્રદ્ધાળુઓને રાહત આપવા માટે કોરિડોર બનાવવા માંગે છે.
ગોસ્વામી સમાજનો વિરોધ શા માટે?
ગોસ્વામી સમાજ આ કોરિડોરનો સખત વિરોધ કરી રહ્યો છે અને જો આ પ્રોજેક્ટ આગળ વધશે તો તેઓ ઠાકુરજીને લઈને પલાયન કરવાની ધમકી આપી રહ્યા છે. એવામાં જાણીએ કે ગોસ્વામી સમાજ આટલો વિરોધ શા માટે કરી રહ્યો છે...
ખાનગી સંપત્તિનો દાવો
ગોસ્વામી સમાજનું કહેવું છે કે મંદિર અમારી ખાનગી સંપત્તિ છે અને સરકાર તેમાં દખલ કેમ કરી રહી છે. જોકે,મહેસૂલી દસ્તાવેજો મુજબ, આ જમીન મંદિરના નામે નહીં, પરંતુ ગોવિંદદેવના નામે નોંધાયેલી છે.
વૃંદાવનના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ
ગોસ્વામી સમાજનો દાવો છે કે કોરિડોર બનવાથી વૃંદાવનની સદીઓ જૂની 'કુંજ ગલીઓ' (સાંકડી શેરીઓ) નષ્ટ થઈ જશે, જેનાથી વૃંદાવનની અનન્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વાતાવરણ જ નહિ રહે.
આજીવિકા પર અસર
કોરિડોર નિર્માણ માટે લગભગ 100 દુકાનો અને 300 ઘરોનું અધિગ્રહણ કરવાનું છે. આમ તો સરકાર યોગ્ય વળતર અને દુકાનના બદલે દુકાન આપવાની વાત કરી રહી છે, પરંતુ ગોસ્વામીઓને ભય છે કે આનાથી તેમની આવક પર નકારાત્મક અસર પડશે અને દુકાનોના ટેન્ડર મનમાની રીતે પાસ કરવામાં આવશે.