
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ શામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 4-5 ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘુસણખોરો માર્યા ગયા. આ ઘુસણખોરોમાં 2 થી 3 પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ખીણ સેક્ટરમાં બની હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ઘુસણખોરો કુખ્યાત બોર્ડર એક્શન ટીમની મદદથી ભારતીય સૈનિકો પર હુમલો કરવા માંગતા હતા. બોર્ડર એક્શન ટીમોને નિયંત્રણ રેખા પાર કરીને ગુપ્ત હુમલાઓ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. આ પાકિસ્તાની એજન્સીએ અગાઉ પણ સરહદ પર ભારતીય સૈનિકો પર હુમલો કર્યો છે. આ અનુભવનો લાભ લઈને, આ ટીમ ફરી એકવાર ભારતીય સૈનિકોને નિશાન બનાવવા માંગતી હતી.
LoC પર દેખાતાની સાથે જ ઠાર
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ઘુસણખોરોને LoC પર દેખાતાની સાથે જ ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન અલ-બદ્રના આતંકવાદીઓ પણ શામેલ છે.
આ ઘટના એવા દિવસે બની જ્યારે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર અંગે પોતાનો પ્રચાર ફેલાવી રહ્યું છે અને 5 ફેબ્રુઆરીને કાશ્મીર એકતા દિવસ તરીકે ઉજવવાનો ડોળ કરી રહ્યું છે.
તલ્હા સઈદનો બફાટ
પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર એકતા દિવસ નિમિત્તે, 5 ફેબ્રુઆરીના રોજ, લાહોરમાં આયોજિત એક રેલીમાં, આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. રેલીને સંબોધતી વખતે તલ્હા સઈદ બફાટ કરતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે તેઓ કાશ્મીરને આઝાદ કરાવી દેશે. તેણે સ્ટેજ પર ઘણું નાટક કર્યું અને કાશ્મીર અંગે શપથ લીધા.
તલ્હા સઈદે એવી પણ માંગ કરી હતી કે પાકિસ્તાની સરકારે તેની નીતિની સમીક્ષા કરવી જોઈએ અને તેના પિતા હાફિઝ સઈદને જેલમાંથી મુક્ત કરવા જોઈએ.