Ahmedabad News: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક ગુજરાતીને મરાઠી ન આવડતી હોવાથી માર મારવામાં આવ્યો અને આપણી ભાજપ સરકાર ચૂપ બેઠી છે. શું ભાજપના રાજમાં ગુજરાતીઓને આ રીતે જ માર પડશે? ફક્ત મરાઠી ન આવડતી હોવાથી હવે ભાજપના સમર્થનવાળા ગુંડાઓ ગુજરાતી ઉપર હુમલો કરી રહ્યા છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પર મહારાષ્ટ્રમાં અત્યાચાર થઈ રહ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી કે ભાજપના નેતાનું નિવેદન કેમ નથી આવી રહ્યું? મહારાષ્ટ્રીયન હોવા છતાં પણ ગુજરાતે સી આર પાટીલને અપનાવ્યા છે. મરાઠી માણસ સી આર પાટીલ ગુજરાતમાં ભાજપ પ્રમુખ બને છે અને હવે ગુજરાતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે તેઓ કેમ કંઈ બોલતા નથી?
તેમણે વધુમાં જણાવ્યું કે, જો આ મામલામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના મંત્રી પોતાનું નિવેદન નહીં આપે તો એ સ્પષ્ટ થઈ જશે કે ભાજપ ગુજરાત વિરોધી છે. ભાજપને ફક્ત ગુજરાતીઓના વોટ જોઈએ છે. આમ આદમી પાર્ટી ગુજરાતી ઉપર કરવામાં આવતા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરે છે. આ હુમલો કરનાર ભાજપ સમર્થક ગુંડાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. ગુજરાત બધા રાજ્યના લોકોને અપનાવે છે, પણ ગુજરાતી ઉપર મહારાષ્ટ્રમાં હુમલા થઈ રહ્યા છે.