
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, જેણે એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, તેણે મોટી ભૂલ કરી છે. તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો એક નિયમ તોડ્યો છે. કોઈને તેની અપેક્ષા નહતી, કારણ કે આ સમયે BCCI તેના નિયમો પ્રત્યે ખૂબ કડક છે. બધા ખેલાડીઓને આ નિયમોનું પાલન કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ ખેલાડી આ નિયમો તોડે છે, તો તેને કડક સજા પણ મળે છે. આમ છતાં, રવિન્દ્ર જાડેજાએ બોર્ડનો એક નિયમ તોડીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. હવે તેને સજા થશે કે નહીં તે બોર્ડ પર નિર્ભર કરે છે.
જાડેજાએ કયો નિયમ તોડ્યો?
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, BCCIએ એક નવો નિયમ બનાવ્યો હતો. આ મુજબ, કોઈપણ ખેલાડી એકલો સ્ટેડિયમ જશે કે આવશે નહીં. આખી ટીમ બસમાં સાથે મુસાફરી કરશે, પરંતુ જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન આ નિયમ તોડ્યો. આ ટેસ્ટ મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસ છોડીને હોટેલથી સ્ટેડિયમ જવા રવાના થયો. બસમાં ન દેખાતા બધાને આ વાતની ખબર પડી. જોકે, જાડેજાએ ટીમના ફાયદા માટે આ નિયમ તોડ્યો હતો.
શા માટે તોડ્યો નિયમ?
એજબેસ્ટન ટેસ્ટ મેચના પહેલા દિવસે કેપ્ટન શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ સારી બેટિંગ કરી અને અણનમ પાછા ફર્યા હતા. રવિન્દ્ર જાડેજા પહેલા દિવસે 41 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે પોતાની ઈનિંગને લંબાવવા માંગતો હતો, કારણ કે લીડ્સમાં હાર બાદ ઘણા ક્રિકેટ નિષ્ણાતો ટીમમાં તેના સ્થાન અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા હતા.
આ કારણોસર, જાડેજા બીજા દિવસે સવારે એકલો સ્ટેડિયમ પહોંચ્યો. તેણે સ્થાનિક બોલરો સાથે નેટમાં લગભગ 40 મિનિટ સુધી બેટિંગ પ્રેક્ટિસ કરી. મેચ દરમિયાન આની ઝલક જોવા મળી. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં 137 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 203 રનની પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત સ્કોર પર પહોંચાડી. જ્યારે જાડેજા મેદાન પર આવ્યો ત્યારે ટીમની હાલત ખરાબ હતી.
શુભમન અને જાડેજાએ ટીમની કમાન સંભાળી
બીજી ટેસ્ટના પહેલા દિવસે, ટીમ ઈન્ડિયા 211 રન પર 5 વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી. આ પછી, જાડેજા અને શુભમને ઈનિંગની કમાન સંભાળી. જાડેજાને એજબેસ્ટન ગ્રાઉન્ડ ખૂબ ગમે છે. વર્ષ 2022માં, જાડેજાએ આ ગ્રાઉન્ડ પર સદી ફટકારી અને રિષભ પંત સાથે 222 રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે, ટીમને તે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે જાડેજા આ ઈતિહાસ બદલવા માંગે છે, કદાચ તેથી જ તેણે BCCIનો નિયમ તોડ્યો અને ટીમના ફાયદા માટે પગલાં લીધાં.
જાડેજાએ શું કહ્યું?
દિવસની રમત પૂરી થયા પછી, જાડેજાએ કહ્યું કે, "ક્યાંક મને લાગ્યું કે મારે વધારાની બેટિંગ કરવી જોઈએ, કારણ કે બોલ હજુ પણ નવો હતો. મને લાગ્યું કે જો હું નવો બોલ યોગ્ય રીતે રમીશ તો આગળની ઈનિંગ સરળ બનશે. સદનસીબે હું લંચ સુધી બેટિંગ કરી શક્યો અને પછી વોશિંગ્ટન સુંદરે પણ શુભમન સાથે સારી બેટિંગ કરી. તમે ઈંગ્લેન્ડમાં જેટલી વધારે બેટિંગ કરો છો, તેટલું સારું છે કારણ કે તમને ક્યારેય એવું નથી લાગતું કે તમે ઈંગ્લેન્ડમાં સેટ છો. ગમે ત્યારે બોલ સ્વિંગ થઈ શકે છે અને તમારી એજ લઈ શકે છે અથવા તમને આઉટ કરી શકે છે."
તેણે વધુમાં કહ્યું, "જ્યારે તમે ટીમ માટે બેટથી યોગદાન આપો છો, ત્યારે ખૂબ સારું લાગે છે, જ્યારે તમે ભારતની બહાર રમી રહ્યા હોવ અને ટીમને તમારી વધુ જરૂર હોય, ત્યારે સારું લાગે છે. 211 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી ટીમને આગળ લઈ જવા માટે મોટી પાર્ટનરશિપ કરવી એક પડકાર છે. મેં પણ તેને એક પડકાર તરીકે લીધો."