આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. આ પાંચ તત્ત્વો એટલે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. માતાજીની આરતીમાં પણ પૃથ્વી, તેજ, આકાશ, વાયુ જેવા શબ્દો આ વાતની સાક્ષી પુરે છે. આ પાંચ તત્ત્વોમાં જળનો મહિમા જાણવા જેવો છે. ''જળ એ જ જીવન છે તેમ કહેવાયું છે. જળની જરૂરિયાત જીવને કે શરીરને શરૂથી અંત સુધી પડે છે. સામાન્ય રીતે પાણી અને જળમાં ફેર છે. પાણી ખરાબ, ગંદુ કે વાસવાળું હોઈ શકે છે જ્યારે જળ પવિત્ર તથા શુદ્ધ હોય છે. ઘણા લોકો જળના લોટા પર હાથ રાખી મંત્ર જાપ કરે છે પછી તે જળ પીવાથી આરોગ્યને ફાયદો થાય છે. આ જળ ઘરની બધી જગ્યાઓએ છાંટી પણ શકાય છે. ગંગા, જમુના સરસ્વતી, નર્મદા જેવી નદીઓનાં નીર પવિત્ર ગણાય છે. આપણે આપણા ધાર્મિક તથા સામાજિક પ્રસંગો કે કેટલાક તહેવારોમાં જળનો જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ તે અંગે થોડી મહત્ત્વની વાતો નીચે દર્શાવી છે.

