
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની બીજી મેચમાં ભારતની જીત બાદ શુભમન ગિલે બ્રિટનના પત્રકાર પર કટાક્ષ કર્યો હતો, જેને લઈને પત્રકારે ગિલને પ્રોત્સાહિત ન કરવાની કસમ ખાધી છે. વાસ્તમાં આ મામલો ત્યારે શરૂ થયો, જ્યારે બ્રિટિશ પત્રકારે એજબેસ્ટનમાં ભારતના ખરાબ રેકોર્ડની ગિલને યાદ અપાવી હતી. ત્યારબાદ બીજી ટેસ્ટમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ગિલે પત્રકારની વાત યાદ કરી પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યું કે, "મારો ફેવરિટ પત્રકાર દેખાતો નથી, ક્યાં ગયો?"
‘હું ક્યારે ગિલને પ્રોત્સાહિત નહીં કરું’
બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો આ મેચમાં ભારતનો 336 રને વિજય થયો હતો. મેચમાં શુભમન ગિલે પ્રથમ ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવતા તેની ચોતરફ પ્રશંસા થઈ હતી. ગિલનો કટાક્ષ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિલ્સને એક સ્પોર્ટ્સ મીડિયામાં કહ્યું કે, "હવે હું ક્યારેય ગિલને પ્રોત્સાહિત કરવાની કોઈપણ વાત નહીં કહું." તેણે પોતાના બચાવમાં કહ્યું કે, "મારા સવાલે સંભવતઃ ગિલને બીજી ટેસ્ટ મેચમાં પ્રોત્સાહિત કર્યો હશે. જોકે હવે હું એવું કંઈપણ નહીં કહું, જેના કારણે ગિલ પ્રોત્સાહિત થાય."
‘ગિલ અસલી જેન્ટલમેન’
જ્યારે વિલ્સનને પૂછવામાં આવ્યું કે, શું લોડ્સમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચના પોતાના પ્રશ્નોમાં ફેરફાર કરશો? તો તેણે કહ્યું કે, "હું માનું છું કે, ગિલ અસલી જેન્ટલમેન છે. તેણે તમામ પ્રશ્નોનો મર્યાદામાં અને ચતુરાઈથી જવાબ આપ્યો. તે પોતાની ટીમના તમામ ડિપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ નેતૃત્વ કરી રહ્યો છે, ખાસ કરીને મીડિયામાં." વિલ્સનનું કહેવું છે કે, ઘણી વખત આંકડા યોગ્ય રીતે સામે નથી આવતા, આંકડાઓ ગેરમાર્ગે દોરનારા પણ હોઈ શકે છે, કારણ કે આંકડાઓ જુદાં-જુદાં સમય અને પેઢીઓ સાથે જોડાયેલા હોય છે.
‘ગિલે કેટલા રેકોર્ડ ધ્વસ્ત કર્યા, તે અમે ગણતરી જ ભૂલી ગયા’
તેણે કહ્યું કે, "ભારતીય સુકાની ગિલે જે કહ્યું, તે ખૂબ જ યોગ્ય વાત છે... જો તમે 1970 અને 1980ના દાયકા જુઓ તો ભારતીય ટેસ્ટ ટીમની સ્થિતિ જુદી હતી. તે વખતે તેઓ વિદેશ આવતા હતા અને ક્યારેય જીતની આશા નહતા રાખતા. જોકે હવે તેઓ જીત મેળવી રહ્યા છે. એવું હોઈ શકે છે કે, તેમના મગજમાં તે જ આંકડા ચાલી રહ્યા હોય, કે પછી તે આંકડાઓ પ્રોત્સાહિત કરવાનું કામ કરતા હોય, કારણ કે અમે લોકો તો લગભગ ગણતરી જ ભૂલી ગયા કે, શુભમને પોતે કેટલા રેકોર્ડ ધ્વસ્ત કર્યા. ઈંગ્લેન્ડના કોચ માટે હવે પહેલો સવાલ એ જ છે કે, શુભમનને કેવી રીતે આઉટ કરવામાં આવે?"