
IPL 2025ની સિઝનનો રોમાંચ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ ચૂકી છે. આ દરમિયાન એક બાબત જે સૌથી વધુ ટ્રેન્ડમાં અને ચર્ચામાં રહી તે છે મહેન્દ્ર સિંહ ધોનીનો બેટિંગ ઓર્ડર.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને પાંચ વખત ટાઈટલ જીતાડનાર પૂર્વ કેપ્ટન ધોની આ સિઝનમાં નીચલા ક્રમમાં બેટિંગ કરવા માટે આવી રહ્યો છે. ક્યારેક તે 8મા નંબરે બેટિંગ કરે છે તો ક્યારેક 9મા નંબર પર બેટિંગ માટે ઉતરે છે. તેનું પરિણામ તેની ટીમે ભોગવવું પડી રહ્યું છે.
ધોનીએ 3 મેચમાં 46 રન બનાવ્યા
ચેન્નાઈની ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે, જેમાંથી તેણે માત્ર એક જ મેચ જીતી છે. બે મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. ધોનીએ 3 મેચમાં 46 રન બનાવ્યા છે. તેમાં અણનમ 30 રન તેનું બેસ્ટ પ્રદર્શન રહ્યું છે. આ તમામ વચ્ચે ફેન્સ એ જાણવા માટે ઉત્સુક હશે કે ધોની આટલા નીચા ક્રમે બેટિંગ કરવા કેમ આવી રહ્યો છે?
હવે આનો જવાબ ચેન્નાઈના કોચ સ્ટીફન ફ્લેમિંગે આપ્યો છે. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ફ્લેમિંગે કહ્યું કે, "ધોની હાલમાં ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેની ઈજા સંપૂર્ણપણે મટી નથી. આ જ કારણ છે કે તેના માટે 10 ઓવર સુધી બેટિંગ કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ધોની ઓવર પ્રમાણે બેટિંગ કરવા આવે છે."
છેલ્લી બે મેચમાં ધોની ટીમને જીતાડી ન શક્યો
ચેન્નાઈએ છેલ્લી 2 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. RCB સામેની મેચમાં ધોની 9મા નંબરે અને રાજસ્થાન સામે 7મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો.
ચેન્નાઈને રાજસ્થાન સામે સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ કોચ ફ્લેમિંગે એ હકીકતને સંપૂર્ણપણે નકારી કાઢી છે કે ધોની ટીમ પર બોજ બની ગયો છે. તેણે કહ્યું કે ધોની ફ્રેન્ચાઈઝીનો સૌથી મૂલ્યવાન ખેલાડી છે.
IPL 2025માં ચેન્નાઈની સ્ક્વોડ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સી આન્દ્રે સિદ્ધાર્થ, વંશ બેદી, ડેવોન કોન્વે, એમએસ ધોની, શેખ રશીદ, રાહુલ ત્રિપાઠી, રવિચંદ્રન અશ્વિન, સેમ કરન, શિવમ દુબે, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જેમી ઓવરટન, રચિન રવિન્દ્ર, વિજય શંકર, ખલીલ અહેમદ, નાથન એલિસ, ગુર્જાપનીત સિંહ, મુકેશ ચૌધરી, કમલેશ નાગરકોટી, નૂર અહેમદ, મથિશા પથિરાના.