
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલ મેચ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મોટી મેચ 11 જૂનથી ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થશે. આ વખતે ટીમ ઈન્ડિયા આ ફાઈનલનો ભાગ નથી કારણ કે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી હતી. ભલે ભારતીય ખેલાડીઓ મેદાન પર ન દેખાય, પણ આ મહત્ત્વપૂર્ણ મેચમાં બે ભારતીયો ચોક્કસ હાજર રહેશે.
ICCની મોટી જાહેરાત
ICC એ ફાઈનલ મેચ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી છે, જેમાં બે ભારતીયો, જવાગલ શ્રીનાથ અને નીતિન મેનનના નામનો સમાવેશ થાય છે. આ મેચ માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથને મેચ રેફરી બનાવવામાં આવ્યા છે, જ્યારે અનુભવી અમ્પાયર નીતિન મેનનને ફોર્થ અમ્પાયરની જવાબદારી સોંપવામાં આવી છે.
જવાગલ શ્રીનાથ લાંબા સમયથી ICC મેચ રેફરી તરીકે કાર્યરત છે. તેઓ 2006થી આ ભૂમિકા ભજવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 79 ટેસ્ટ મેચોમાં રેફરીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ WTC ફાઈનલ રેફરી તરીકેની તેમની કારકિર્દીની 80મી ટેસ્ટ મેચ હશે. બીજી તરફ, નીતિન મેનન ઈન્ટરનેશનલ અમ્પાયરિંગમાં એક જાણીતું નામ છે અને તેણે ઘણી મોટી મેચોમાં મહત્ત્વનીની ભૂમિકા ભજવી છે.
ભલે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ન રમી રહી હોય, પરંતુ ભારતીય ફેન્સમાટે ગર્વની વાત છે કે આ મોટી મેચમાં બે ભારતીયો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.