ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ગઈકાલે સોમવારે (12 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ આજે પત્ની અનુષ્કા સાથે વૃંદાવન ગયો હતો. બંને સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ અને શ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોહલીના રિટાયરમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી. BCCI તેને મનાવવા પ્રયાસ કરી રહ્યું હતું, પણ કોહલીએ ગઈકાલે સત્તાવાર ધોરણે ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ જાહેરાતની થોડી જ ક્ષણો બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે મુંબઈ એરપોર્ટ પર હળવાશની પળોમાં જોવા મળ્યો હતો.
વિરાટ કોહલી વૃંદાવન પહોંચ્યો
વિરાટ કોહલી આજે પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં સંત પ્રેમાનંદજી મહારાજને મળવા અને આશીર્વાદ લેવા રાધાકેલુકુંજ આશ્રમ પહોંચ્યો હતો. તેઓ સવારે લગભગ 6 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા. અને સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી ત્યાંરોકાયા હતા. આશ્રમમાંથી બહાર આવ્યા બાદ કોહલીએ બારાહ ઘાટના સંત પ્રેમાનંદના ગુરૂ ગૌરાંગી શરણ સાથે પણ મુલાકાત કરી હતી. અને તેમના આશીર્વાદ લીધા હતા.
ત્રીજી વાર પ્રેમાનંદજી મહારાજને મળ્યો
વિરાટ કોહલી ત્રીજી વખત વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજને મળ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ વિરાટ ત્યાં પહોંચ્યો હતો. જાન્યુઆરી, 2023માં પણ વિરાટ પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લેવા વૃંદાવન ગયો હતો. પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ બાદ કોહલીએ આશરે ત્રણ વર્ષ બાદ પહેલી સદી ફટકારી હતી. શ્રીલંકા વિરૂદ્ધ વનડે ઈન્ટરનેશનલમાં કોહીલએ 160 રન ફટકાર્યા હતા.
RCB આ વખતે ફોર્મમાં
વિરાટ કોહલી IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમી રહ્યો છે. ઘણા વર્ષો બાદ આ વખતે RCB ફોર્મમાં જોવા મળી છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL સ્થગિત કરવામાં આવી હતી. પણ હવે 17મેના રોજ IPLની 18મી સિઝન ફરીથી શરૂ થશે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર RCBની આગામી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે છે. 11 મેચમાં 505 રન ફટકારી વિરાટ કોહલી હાલ ઓરેન્જ કેપની રેસમાં ચોથા ક્રમે છે. સૂર્યકુમાર યાદવ 510 રન સાથે પ્રથમ ક્રમે છે.