
Waqf law Protest: પશ્ચિમ બંગાળના મુસ્લિમ વસ્તી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લામાં વકફ (સંશોધન) અધિનિયમ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી હતી. આ ઘટનામાં અત્યાર સુધી 110થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર, આ હિંસા શુક્રવારે તે સમયે ભડકી હતી જ્યારે પ્રદર્શનકારીઓએ કેટલીક જગ્યાએ રસ્તો જામ કર્યો હતો અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગ પણ લગાવી હતી.
આ હિંસા માત્ર બંગાળના મુર્શિદાબાદ સુધી સીમિત રહી નહતી પણ માલદા, સાઉથ24 પરગણા અને હુગલી જિલ્લા સુધી ફેલાઇ ગઇ હતી. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદના સૂતીથી લગભગ 70 અને શમશેરગંજમાંથી 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રસ્તા પર હજારો લોકોએ નોંધાવ્યો વિરોધ
શુક્રવારે વકફ અધિનિયમના વિરોધમાં આયોજિત પ્રદર્શન તે સમયે ઉગ્ર બની ગયું હતું જ્યારે કલમ 144 લાગુ થયા છતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મુર્શિદાબાદ જિલ્લાના સૂતી વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાન અને સાર્વજનિક બસોને આગના હવાલે કરી નાખી હતી સાથે જ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.
અનેક પોલીસ કર્મી ઘાયલ
આ હિંસામાં 10થી વધુ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. રાજ્યના કેટલાક ભાગમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કાઢવામાં આવ્યું હતું અને દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સ્થિતિ પર કાબુ મેળવવા માટે વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને CCTV ફૂટેજની મદદથી બાકી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
વકફ અધિનિયમને લઇને વિવાદ કેમ?
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે વકફ સંશોધન કાયદો મુસ્લિમ સમાજની ધાર્મિક અને સામાજિક સંપત્તિઓને પ્રભાવિત કરે છે. જોકે, સરકારનું કહેવું છે કે આ સંશોધન પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવા માટે લાવવામાં આવ્યું છે.
મમતા સરકારે શું કહ્યું?
અત્યાર સુધી આ ઘટના પર રાજ્ય સરકાર તરફથી કોઇ ઔપચારિક નિવેદન સામે આવ્યું નથી પરંતુ અધિકારીઓએ શાંતિ રાખવાની અપીલ કરી છે અને કહ્યું કે દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
મમતા સરકાર પર ભાજપ ભડક્યું
ભાજપે મમતા બેનરજી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જો તે સ્થિતિને સંભાળવામાં સક્ષમ નથી તો તેમને કેન્દ્ર પાસે મદદ માંગવી જોઇએ. વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું, "આ માત્ર વિરોધ પ્રદર્શન નહતું પરંતુ હિંસાનું એક પૂર્વ આયોજિત કાવતરૂં હતું, જિહાદી તાકાતો દ્વારા લોકતંત્ર અને શાસન પર હુમલો હતો, જે પોતાના પ્રભુત્વનો દાવો કરવા અને આપણા સમાજના અન્ય સમુદાયોમાં ભય પેદા કરવામાં માટે અરાજકતા ફેલાવવા માંગે છે.'