સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે તેમજ બ્રાહ્મણી નદી બે કાંઠે વહેતી થતા સરાથી ધ્રાંગધ્રાને જોડતા કોઝ-વેનું ધોવાણ થયું છે. ચિત્રોડી ગામ પાસે સરાથી ધ્રાંગધ્રાને જોડતા આ કોઝ-વેનું ધોવાણ થયું છે. આ સાથે જ સરા, થાન, ચોટીલા, કોંઢ, રતનપર, બાવડી, ધાંગધ્રા સહિતના રસ્તાઓને જોડતા કોઝ્વેનું ધોવાણ થયું છે. સરા તેમજ ધાંગધ્રા અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોએ કોઝ-વેના કામમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે.
હળવદ તાલુકાના શકિતધામ દિઘડીયા બ્રાહ્મણી નદીનું રોદ્રસ્વરૂપ જોવા મળ્યું છે. પુલ ઉપર ત્રણ ફૂટ પાણી વહી રહ્યું હોય વાહન વ્યવહાર બંધ કરાયો છે. પુલ ઉપર પાણી ફરી વળતાં વાહન ચાલકો પરેશાન થયા છે. હળવદ -સરાને જોડતો રસ્તો સંપૂર્ણ બ્લોક થયો છે. હળવદ તાલુકાના દીઘડિયા તેમજ આજુબાજુના નજીકના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
ઉપરવાસમાં પડેલા વરસાદથી સુરેન્દ્રનગરના નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. નાયકા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભોગાવો નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યુ છે. ભોગાવો નદીમાંથી પાણી છોડાતા ખમીયાણા, ભળીયાદ, મેમકા, કેરાળા, રતનપર, સાંકળી, વઢવાણ, સિયાણી, નટવરગઢ, દોલતપર ગામને એલર્ટ કરવામાં આવ્યા. સાર્વત્રિક વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક છે. નદીઓ ઉપરાંત તળાવો પણ ઓવરફ્લો થયા છે.
ચોટીલામાં જલારામ મંદિર સામે આવેલા તળાવમાં રાત્રે ભારે વરસાદના કારણે વૃદ્ધ કાળુભાઈ સુરજભાઈ સારલા ફસાઈ ગયા હતા. કાળુભાઈ સારલા ગત સાંજે તળાવની વચ્ચે આવેલી મંદિરની ડેરીમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન પાણીની આવક વધતાં તેઓ ફસાઈ ગયા હતા. રાતભર તેઓ તળાવની વચ્ચે આવેલી દેરીમાં વરસાદી પાણી વચ્ચે હતા.
વહેલી સવારે હાઇવે પરથી પસાર થતા ચોટીલાના જાગૃત નાગરિકે તેમને જોતાં જ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારી જુવાનસિંહ ઝાલાની સૂચના પર ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. ટીમના તરવૈયાઓએ સફળતાપૂર્વક વૃદ્ધને બચાવી લીધા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.