
સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાની 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓને કારણે વિવાદનો સામનો કરી રહ્યા છે. આ લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગ અને આસામ પોલીસે તે બધાને તેમના નિવેદનો નોંધવા માટે બોલાવ્યા છે. વિવાદ શરૂ થયા પછી, સમયે આ શોના બધા એપિસોડ યુટ્યુબ પરથી ડિલીટ કર્યા છે. દરમિયાન, હવે એવા સમાચાર છે કે સ્ટેન્ડ-અપ કોમેડિયન અનુભવ સિંહ બસ્સીનો શો પણ કેન્સલ કરવામાં આવ્યો છે.
અનુભવ સિંહ બસ્સીનો શો આજે એટલે કે શનિવારે લખનૌમાં યોજાવાનો હતો. ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ અર્પણા યાદવ આ શોનો વિરોધ કરી રહ્યા હતા. હવે એવી માહિતી સામે આવી છે કે તેનો શો કેન્સલ કરવામાં આવ્યો છે. અપર્ણા યાદવે ડીજીપીને પત્ર લખીને શો સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેને કેન્સલ કરવાની માંગ કરી હતી. જે બાદ તેનો શો કેન્સલ કરવામાં આવ્યો.
બસ્સીના જૂના વીડિયો ટાંકવામાં આવ્યા
અપર્ણા યાદવે પોતાના પત્રમાં લખ્યું હતું કે અનુભવ સિંહ બસ્સીના જૂના વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે શોમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે પોતાના પત્રમાં એમ પણ લખ્યું છે કે બસ્સીના શોમાં મહિલાઓ વિરુદ્ધ કોઈ અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન થાય તેની ખાતરી કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં આવા શોને મંજૂરી ન આપવી જોઈએ.
જોકે, 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ વિશે વાત કરીએ તો, આ કેસમાં મહારાષ્ટ્ર સાયબર વિભાગે રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાનીને 18 ફેબ્રુઆરીએ હાજર થવા કહ્યું છે. આ ઉપરાંત, 18 ફેબ્રુઆરીના રોજ આસામ પોલીસે પણ આ લોકોને તેમના નિવેદનો નોંધવા માટે ગુવાહાટી પોલીસ મુખ્યાલયમાં બોલાવ્યા છે. સમય રૈનાએ પોલીસ પાસે હાજર થવા માટે થોડો સમય માંગ્યો હતો. ઉપરાંત, પોતાની સુરક્ષાનો હવાલો આપતા, રણવીરે માંગ કરી હતી કે તેનું નિવેદન તેના ઘરમાં જ નોંધવમાં આવે. પોલીસે બંનેની માંગણીઓ ફગાવી દીધી છે.