Home / India : 80% of people fled Ghaziabad after policeman was killed

પોલીસકર્મીની હત્યા બાદ 80% લોકોએ કર્યું પલાયન, ગાઝિયાબાદના આ ગામમાં અજંપાભરી સ્થિતિ 

પોલીસકર્મીની હત્યા બાદ 80% લોકોએ કર્યું પલાયન, ગાઝિયાબાદના આ ગામમાં અજંપાભરી સ્થિતિ 

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના નાહલ ગામમાં રવિવારે (25મી મે) એક હિસ્ટ્રીશીટરની ધરપકડ કરવા પહોંચેલી નોઈડા પોલીસ ટીમ પર થયેલા હુમલામાં કોન્સ્ટેબલ સૌરભ કુમારનું મોત થયું હતું. ત્યારથી પોલીસ હુમલો કરનારા તત્ત્વો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં, લગભગ 14 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ફાયરિંગની ઘટના માટે સાવચેતીના પગલા તરીકે 42 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી વચ્ચે નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પલાયન કરી ચૂક્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગામમાં 95 ટકા લોકો મુસ્લિમ છે
અહેવાલો અનુસાર, નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પોતાના ઘર છોડીને ગયા છે. પોલીસ જેને ઈચ્છે છે તેની ધરપકડ કરી રહી છે. ઘણાં લોકો પોતાના સંબંધીઓના ઘરે ગયા છે. ગામના વડા તસવ્વર અલીએ કહ્યું કે, 'નાહલમાં લગભગ 10,000 લોકો રહે છે. તેમાંથી 95 ટાક મુસ્લિમ છે અને બાકીના અનુસૂચિત જાતિના છે. મને ખબર નથી કે શું કરવું, મેં આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે, હું કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું.'

પોલીસ પર આરોપ લગાવતા 65 વર્ષીય બાબુ ખાને કહ્યું કે, 'જ્યારે હું સૂતો હતો, ત્યારે લગભગ 35 પોલીસકર્મીઓ મારા ઘરમાં ઘૂસી ગયા. બારીના કાચ તૂટેલા હતા અને લોખંડના દરવાજાને નુકસાન થયું હતું.'

બાબુ ખાનની પત્નીએ કહ્યું કે, 'મને મારા ટેરેસ પર પગનો અવાજ સંભળાયો. પોલીસ ટેરેસ પરથી અમારા ઘરે આવી અને પછી તેઓ મારા બેડરૂમમાં પ્રવેશ્યા. મારા પતિ મારી બાજુમાં સૂતા હતા. તેઓએ તેમને જગાડ્યા હતા.'

કોન્સ્ટેબલને માથામાં ગોળી વાગી હતી
રવિવારે રાત્રે નાહલમાં ચોરીના કેસમાં આરોપી કાદિરને પકડવા ગયેલી નોઈડા પોલીસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જ્યારે પોલીસે કાદિરને લઈ જવાનું શરૂ કર્યું, ત્યારે આરોપીએ તેના સાથીઓને ઉશ્કેર્યા. આ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ગોળીબાર કર્યો. ગોળીબારમાં ગોળી કોન્સ્ટેબલ સૌરભના માથામાં વાગી અને પસાર થઈ ગઈ, જ્યારે પથ્થરમારામાં કોન્સ્ટેબલ સોનિત અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા. નોઈડામાં તૈનાત SI સચિન રાઠીએ મસૂરી પોલીસ સ્ટેશનમાં કાદિર, તેના ભાઈ અને અન્ય લોકો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

લોકોએ કહ્યું, અમારો જીવ બચાવવા માટે ક્યાં જવું જોઈએ
ગામમાં બાકી રહેલા લોકોએ શાંત અવાજમાં કહ્યું કે પોલીસ નિર્દોષ લોકોને પણ હેરાન કરી રહી છે. રાત્રે દરોડા પાડવામાં આવે છે, જેના કારણે પરિવારમાં ભયનું વાતાવરણ છે. અમારો જીવ બચાવવા માટે ક્યાં જવું જોઈએ. પોલીસકર્મીઓ દરવાજા ખખડાવે છે, જેના કારણે નાના બાળકો ડરી જાય છે. પોલીસ ગામની અંદર પણ દરોડા પાડી રહી છે. લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગામની મોટાભાગની દુકાનોને તાળાં લાગેલા છે.

RLD નેતાઓ સ્થળાંતર અંગે CP ને મળ્યા
RLD નેતા કુંવર અયુબ અલીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરને મળીને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત, નિર્દોષોને હેરાન ન કરવા અપીલ કરવામાં આવી હતી. ગામમાં આતંકનું વાતાવરણ છે. લોકો ગામ છોડી રહ્યા છે. ગામના વડા તસવ્વર અલીએ જણાવ્યું હતું કે પોલીસ ગામમાં સતત દરોડા પાડી રહી છે. 80 ટકાથી વધુ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. નાહલના રહેવાસી હનીપે કહ્યું કે લોકો પ્રાણીઓને પોતાની સાથે લઈ જઈ શકતા નથી, તેઓ તેમને અહીં છોડી ગયા છે. આવી સ્થિતિમાં પાણી અને ઘાસચારાની કટોકટી છે. નાહલના રહેવાસી નજર રાજપૂતે કહ્યું કે ગામમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. રોજગારનું સંકટ છે.

 

Related News

Icon