
ગુજરાતને વિકાસનું પર્યાય ગણવામાં આવે છે. જો કે, છોટાઉદેપુર પંથકમાં વિકાસનો વ પણ શોધ્યે જડતો નથી. અહિં વિકાસના પ્રાથમિક માપદંડ સમાન રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાં નથી. અંતરિયાળ વિસ્તારને પાકા રસ્તા સાથે જોડવામાં આવ્યા નથી. જેથી લોકોને આવન-જાવનમાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે 108 એમ્બ્યુલન્સ ગ્રામ વિસ્તારમાં ન આવતા પ્રસુતાઓના જીવ જોખમમાં રહે છે.
ખાનગી વાહન પણ ન મળ્યું
નસવાડીના ખેંદા ગામે તુરખેડા જેવી ઘટના બનતા રહી ગઈ હતી. ખેંદા ગામે જીવ સટોસટના ખેલ વચ્ચે સગર્ભા એ ઘરે જ બાળકને જન્મ આપવા મજબુર બનવું પડ્યું હતું. ખેંદા ગામના કાચા રસ્તે 108 આવી ન શકતા અને ગામમા ખાનગી વાહનનો સતત સંપર્ક કરવા છતાંય વાહન ન મળતા ઘરે જ સગર્ભા એ બાળકને જન્મ આપવા મજબૂર બની હતી. મહત્વપૂર્ણ છે કે, અગાઉ તુરખેડાની મહિલાને જોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાતી વખતે તેનું મોત નીપજ્યું હતું.
કોઈ ધ્યાન આપતું નથી
આઝાદીના વર્ષો વીતવા છતાં ખેંદા ગામનો કાચો રોડ પાકો બન્યો નથી. આ જ રસ્તે છોટાઉદેપુર જિલ્લા કલેકટર ફસાયા બાદ રસ્તાની પરિસ્થિતિમા કોઈ સુધારો નથી આવ્યો. સ્થાનિક યુવા મના ભાઈ ડુંગરા ભીલે કહ્યું કે, હાઈકોર્ટ દ્વારા તુરખેડાની ઘટનામાં સુઓમોટો લઈને રસ્તો કરવા મંજૂરી આપી દીધી છે.તેમ છતાં આ વિસ્તાર પર કોઈ ધ્યાન આપતું નથી.