
નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને LCB કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસવડા દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યા હતા. જેમાં ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પુરુષ આરોપીઓને કાન પકડાવી ઊઠકબેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી હતી.
પોલીસની ચીમકી
દારૂ જુગાર મારામારી ખંડણી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડાયેલા 132 જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે, તેવા તમામને નવસારી LCB કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા સાથે જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા કા ગુનેગારી છોડો કા ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવા હાકલ કરી છે, રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે, આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલાં લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કાયદામાં રહેવા અપાઈ સમજ
નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલે કહ્યું કે, આજે નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડાયેલા આરોપીઓને એલસીબી કચેરી ખાતે પરેડ કરાવામાં આવી હતી. જેમાં તેમને પૂછપરછ કરી કાયદામાં રહેવા માટે સમજ આપવામાં આવી છે, આવા આરોપીઓ જો કાયદામાં ન રહે તો તેમના વિરુદ્ધ પગલાં લઈને જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ અલગ અલગ ગુનામાં સંડોવાયેલી મહિલાઓને સમાજમાં ફરીવાર મુખ્ય ધારામાં જીવન જીવે તે માટે જો પોલીસનો સંપર્ક કરવામાં આવશે તો તેવી મહિલા માટે રોજગારની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.