
નવી દિલ્હીથી કેજરીવાલ ચૂંટણી હાર્યા, પ્રવેશ વર્મા સામે મોટી હાર થઈ છે. મનિષ સિસોદિયા બાદ કેજરીવાલને પણ દિલ્હીના લોકોએ જાકારો આપ્યો છે. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની કારમી હાર થઈ છે. ભાજપના પ્રવેશ વર્માએ તેમને 3 હજાર કરતા વધુ મતથી હાર થઈ છે.
ચોથીવાર મુખ્યમંત્રી બનવાનું સપનું રોળાયું
AAPના વડા અરવિંદ કેજરીવાલ સતત ચોથી વખત મુખ્યમંત્રી બનવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરી શક્યા નહીં. ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૨૦માં દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અરવિંદ કેજરીવાલ માટે આ માત્ર ચૂંટણી હાર નથી, પરંતુ તેમના રાજકીય ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે. કથિત દારૂ કૌભાંડમાં મહિનાઓ જેલમાં વિતાવનારા અરવિંદ કેજરીવાલે આ ચૂંટણીને તેમની 'પ્રામાણિકતા' સાથે જોડતા કહ્યું કે, જનતા તેમના વિશે શું વિચારે છે તે નક્કી કરશે.
'જેલ કા જવાબ વોટ સે' અભિયાન ફેલ ગયું
જ્યારથી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં જેલમાં ગયા ત્યારથી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં રાજકારણ આ બાબતે કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી દરમિયાન 'જેલ કા જવાબ વોટ સે' નામનું અભિયાન ચલાવ્યું હતું. ત્યારે અરવિંદ કેજરીવાલે પોતે જનતાને કહ્યું હતું કે જો દિલ્હીના લોકો તેમને જેલમાંથી બહાર કાઢવા માંગતા હોય તો તેમણે તેમને મત આપવો જોઈએ. જોકે, તેમની અપીલની કોઈ અસર થઈ નહીં. કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો હારી ગઈ હતી.
આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં માત્ર સત્તા ગુમાવી નથી, પરંતુ તેના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી મનીષ સિસોદિયાને જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહે તેમને હરાવ્યા છે.
મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી 675 મતોથી હારી ગયા છે. ભાજપના તરવિંદર સિંહે અહીંથી જીત નોંધાવી છે. બીજી તરફ ભરત નગર મતગણતરી કેન્દ્રની બહાર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે.
https://twitter.com/ANI/status/1888121489477779685
૨૭ વર્ષની લાંબી રાહ પછી દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી વાપસી કરતી દેખાય છે. શરૂઆતના વલણોમાં ભાજપ 43 બેઠકો પર આગળ છે. તે જ સમયે, દિલ્હીમાં સતત બે વખત સરકાર ચલાવનાર આમ આદમી પાર્ટી 28 બેઠકો સુધી સિમિત રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સતત ત્રીજી વખત કોંગ્રેસનું ખાતું ખુલે તેવી પણ શક્યતા નથી.