
Fastag New Rules: ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને માર્ગ પરિવહન મંત્રાલયે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ફાસ્ટેગનાં આજથી લાગુ થતા નવા નિયમ હેઠળ ઓછા બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ માટે વધારાનો દંડ લાદવામાં આવશે. તેનો હેતુ ફાસ્ટેગમાં સમસ્યાઓના કારણે ટોલ પર વાહનોની લાંબી લાઈન ઘટાડવાનો છે.
આજથી નવા ફાસ્ટેગ નિયમો લાગુ
સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો હેઠળ, જો તમારું (Fastag) ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કે કોઈપણ કારણોસર ડિએક્ટિવ કરવામાં આવે છે, તો તમારે ટોલ પ્લાઝાને પાર કરતા 60 મિનિટ પહેલા તેને રિચાર્જ કરવું પડશે. જો તમે તેને પહેલા રિચાર્જ ન કરી શકો, તો તમારી પાસે ટોલ પ્લાઝા પાર કર્યા પછી 10 મિનિટ સુધી તેને રિચાર્જ કરવાની તક મળશે. જો આવું નથી થતું તો ટ્રાન્ઝેક્શન નકારવામાં આવશે અને એરર કોડ 176 લખીને આ પેમેન્ટ નકારી કાઢવામાં આવશે.
જો તમે આ ટાઈમ લિમિટમાં રિચાર્જ કરી શકતા નથી, તો તમારે ટોલ ફી તરીકે ડબલ રકમ ચૂકવવી પડશે. આ નિયમ તમામ ફોર-વ્હીલર અને મોટા વાહનો પર લાગુ થશે, જ્યારે ટુ-વ્હીલર્સને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.
તમારા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કેમ કરી શકાય?
ફાસ્ટેગ ડિએક્ટિવ અથવા બ્લેકલિસ્ટ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં...
- જો તમારી પાસે તમારા ફાસ્ટેગ ખાતામાં જરૂરી મીનીમમ રકમ નથી, તો તમારા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે.
- જો તમારા ફાસ્ટેગ એકાઉન્ટનું KYC સમયસર અપડેટ કરવામાં ન આવ્યું હોય તો પણ ફાસ્ટેગ ડિએક્ટિવ કરવામાં આવી શકે છે.
- જો તમારા વાહનને લગતી કોઈ કાનૂની બાબત ચાલી રહી છે અને તે પરિવહન વિભાગના રેકોર્ડમાં નોંધાયેલ છે, તો તમારા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરી શકાય છે.
- જો કોઈ વિવાદને કારણે તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હોય, તો જ્યાં સુધી વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી તમે ટોલ પ્લાઝા પર તેનો ઉપયોગ કરી શકશો નહીં.
નવા નિયમોનો હેતુ શું છે?
ફાસ્ટેગ સંબંધિત આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ટોલ પ્લાઝા પર ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવાનો અને ટોલ ટેક્સની વસૂલાતને વધુ અસરકારક બનાવવાનો છે. ઘણી વખત, ડ્રાઇવરને ફાસ્ટેગમાં અપૂરતા બેલેન્સને કારણે ટોલ પર રોકવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે. નવા નિયમો હેઠળ હવે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે ડ્રાઈવર તેના ફાસ્ટેગને એક્ટિવ રાખે અને અગાઉથી રિચાર્જ કરે, જેથી ટ્રાફિકની અવરજવરમાં કોઈ અડચણ ન આવે.