
આતંકવાદ મુદ્દે વિશ્વભરમાં પાકિસ્તાનને બેનકાબ કરવા માટે કેન્દ્ર સરકાર સર્વદળિય પ્રતિનિધિ મંડળને મોકલશે. જેમાં કોંગ્રેસ તરફથી સરકારે શશી થરૂરના નામનો પ્રસ્તાવ રાખ્યો તો પાર્ટીએ પોતાની તરફથી મોકલેલા નામના લિસ્ટમાંથી તેને હટાવી દીધું. આ મામલે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો ભારત માટે બોલે છે તેને રાહુલ ગાંધી નફરત કેમ કરે છે?
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, "જયરામ રમેશ પોતાના જ કોંગ્રેસી શશી થરૂરને સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવાનો વિરોધ કરે છે! રાહુલ ગાંધી ભારત માટે બોલતા દરેકનો -પોતાની જ પાર્ટીના લોકોને પણ કેમ નફરત કરે છે?"
https://twitter.com/pradip103/status/1923604321704255584
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીએ પાકિસ્તાનના આતંકવાદ પર ભારતનું વલણ સમજાવવા માટે સરકારના પ્રસ્તાવિત પ્રતિનિધિમંડળો માટે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ, રાજ્યસભા સાંસદ ડૉ. સૈયદ નસીર હુસૈન અને લોકસભા સાંસદ રાજા બ્રારની પસંદગી કરી છે.
કોંગ્રેસની યાદીમાંથી શશિ થરૂરનું નામ ગાયબ, પણ સરકારે તેમને જવાબદારી સોંપી
ભલે કોંગ્રેસે સરકારને સોંપવામાં આવેલી યાદીમાં પોતાના પક્ષના નેતા શશિ થરૂરનું નામ સામેલ ન કર્યું હોય, પરંતુ સરકારે શશિ થરૂરને આ જવાબદારી સોંપી છે. તેઓ 7 પ્રતિનિધિમંડળોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરશે. જો સૂત્રોનું માનીએ તો શશી થરૂર અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ થરૂરનું નામ સાત સાંસદોની યાદીમાં સામેલ કર્યું છે. જે વિશ્વ મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને વિશ્વના નેતાઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપશે.
શશિ થરૂરે સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો
શશિ થરૂરે પણ સરકારની ઓફર સ્વીકારતા ટ્વિટ કર્યું છે કે, "જ્યારે રાષ્ટ્રીય હિત સંકળાયેલું હોય અને મારી સેવાઓની જરૂર હોય, તો હું પાછળ રહીશ નહીં." "તાજેતરની ઘટનાઓ પર આપણા રાષ્ટ્રનો દૃષ્ટિકોણ રજૂ કરવા માટે વિશ્વના પ્રમુખ કેપિટલોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે ભારત સરકારના આમંત્રણથી હું સન્માનિત છું. જય હિંદ."