
IPLની 18મી સિઝન હાલમાં ભારતમાં રમાઈ રહી છે, જે વિશ્વની સૌથી મોટી T20 ક્રિકેટ લીગ છે. તે ભારતના વિવિધ શહેરોમાં કુલ 10 ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન, એક મોટા સમાચાર આવ્યા છે, BCCI એ મુંબઈ T20 લીગ ટીમના ભૂતપૂર્વ કો-ઓનર ગુરમીત સિંહ ભામરાહ પર મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવા બદલ પ્રતિબંધ લગાવી દીધો છે.
અહેવાલો અનુસાર, BCCI લોકપાલ ન્યાયાધીશ અરુણ મિશ્રાએ મુંબઈ T20 લીગ ટીમના ભૂતપૂર્વ કો-ઓનર ગુરમીત સિંહ ભામરાહ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના પર 2019માં રમાયેલી બીજી એડિશન દરમિયાન મેચ ફિક્સિંગ માટે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો સંપર્ક કરવાનો આરોપ છે. ધવલ એક જાણીતો ચહેરો છે, જે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે પરંતુ હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ભારત માટે 12 વનડે અને 2 T20 મેચ પણ રમી છે.
ગુરમીત સિંહ ભામરાહ GT20 કેનેડા લીગ સાથે પણ સંકળાયેલા હતા, જે હવે બંધ થઈ ગઈ છે. તે હવે મુંબઈ ટ20 લીગમાં પણ સામેલ નથી. ભામરાહ સોબો સુપરસોનિક્સના કો-ઓનર હતા. આ આદેશમાં તેના પર કેટલા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે જણાવવામાં નથી આવ્યું, પરંતુ BCCIના ભ્રષ્ટાચાર વિરોધી કોડ મુજબ, તે 5 વર્ષ લઈનેથી આજીવન પ્રતિબંધ સુધીનો હોઈ શકે છે.
મુંબઈ T20 લીગ 6 વર્ષ બાદ રમાશે
મુંબઈ T20 લીગની પહેલી એડિશન 2018માં રમાઈ હતી, ત્યારબાદ તેની બીજી એડિશન બીજા વર્ષે એટલે કે 2019માં રમાઈ હતી. પરંતુ આ પછી કોરોનાએ ટૂર્નામેન્ટને અસર કરી, ત્યારબાદ આ લીગ નહતી રમાઈ. આ વર્ષે ટૂર્નામેન્ટની ત્રીજી એડિશન રમાશે, જેનો બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા છે. રોહિતે તાજેતરમાં જ ટ્રોફીનું અનાવરણ પણ કર્યું હતું.