
IPL 2025ની 39મી મેચ ગુજરાત ટાઈટન્સ (GT) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 21 એપ્રિલ, સોમવારના રોજ રમાઈ હતી. આ મેચમાં, GT એ KKRની ટીમને 39 રનથી હરાવી હતી. આ સિઝનમાં KKRની આ પાંચમી હાર છે. આ હાર બાદ, અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ હેઠળ રમી રહેલી KKR પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આ સિઝનમાં KKRની ટીમ અત્યાર સુધી 8માંથી માત્ર 3 મેચ જીતી શકી છે. ચાલો જાણીએ KKRની હારના મુખ્ય કારણો શું છે.
કોલકાતાને શરમજનક પ્રદર્શનના કારણો
KKRની પાંચમી હારથી તેના ફેન્સનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે. ગુજરાત સામે કોલકાતાની હારનું એક મુખ્ય કારણ ઓપનિંગ ખેલાડીને વારંવાર બદલવા છે. KKR માટે, ક્યારેક રહેમાનુલ્લાહ ગુરબાઝ સુનીલ નારાયણ સાથે ઈનિંગની શરૂઆત કરતો જોવા મળે છે, તો ક્યારેક મોઈન અલી ઈનિંગની શરૂઆત કરતો જોવા મળે છે. વારંવાર ઓપનર બદલવાથી બેટિંગ કોમ્બિનેશનમાં પણ સમસ્યા આવે છે.
KKR એ આ સિઝનમાં તેની બેટિંગના મિડલ ઓર્ડરમાં પણ ઘણા પ્રયોગો કર્યા છે. ક્યારેક વેંકટેશ અય્યર ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે તો ક્યારેક અંગક્રિશ રઘુવંશીને આ નંબર પર બેટિંગ કરવાની તક આપવામાં આવી છે.
KKRની ટીમ આ સિઝનમાં તેના ખેલાડીઓની બેટિંગ પોઝિશન સતત બદલી રહી છે. સોમવારે GT સામે રમાયેલી મેચમાં અંગક્રિશ રઘુવંશી ચોથા નંબરમાં બદલે નવમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચમાં રઘુવંશીએ 13 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર રમવા આવેલો વેંકટેશ અય્યર 19 બોલમાં ફક્ત 14 રન બનાવી શક્યો હતો. જ્યારે મોઈન અલી, પાછલી મેચોમાં ઓપનિંગ કર્યા બાદ, ગઈકાલે રમાયેલી મેચમાં આઠમા નંબર પર રમવા આવ્યો હતો.
KKRની બેટિંગમાં સતત ફેરફાર સ્પષ્ટપણે ટીમના સ્કોરમાં ફરક લાવી રહ્યો છે. ખેલાડીઓના બેટિંગ ઓર્ડરમાં વારંવાર ફેરફાર કરવાથી ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ઓછો થાય છે. તેનું ધ્યાન ટીમને જીત અપાવવાને બદલે પોતાનું સ્થાન બનાવવા પર કેન્દ્રિત થાય છે.