
IPL 2025ની ફાઈનલ મેચ આજે એટલે કે 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. રજત પાટીદારની આગેવાની હેઠળની RCB અને શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની PBKS આ મેચ જીતીને પોતાની પહેલી ટ્રોફી જીતવા માંગશે. ત્યારે ફાઈનલ મેચ પહેલા જ લગભગ નક્કી થઈ ગયું છે કે ઓરેન્જ કેપ કોણ જીતશે.
ઓરેન્જ કેપનો હકદાર કોણ બનશે?
IPLની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ મળે છે. IPL 2025માં ઓરેન્જ કેપ માટેની રેસ ખૂબ જ રસપ્રદ હતી. ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, પરંતુ હવે એ નક્કી થઈ ગયું છે કે ગુજરાત ટાઈટન્સ (GT) નો ઓપનર સાઈ સુદર્શન IPL 2025ની ઓરેન્જ કેપ જીતશે. સાઈએ આ સિઝનમાં 15 મેચમાં 54.21ની એવરેજથી 759 રન બનાવ્યા છે.
સૂર્ય પાછળ રહ્યો
મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ધાકડ બેટમેન સૂર્યકુમાર યાદવ ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે હતો, પરંતુ તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, તેને આ સિઝનમાં હવે કોઈ મેચ રમવાની તક નહીં મળે. સૂર્યકુમાર યાદવે IPL 2025ની 16 મેચમાં 65.18ની એવરેજથી 717 રન બનાવ્યા છે, પરંતુ તે સાઈ સુદર્શનથી પાછળ રહી ગયો છે.
શું વિરાટ કોહલી કરશે ચમત્કાર?
RCBનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અગાઉ IPL 2025ની ઓરેન્જ કેપની રેસમાં સામેલ હતો, પરંતુ તે છેલ્લી કેટલીક મેચોમાં પાછળ રહી ગયો હતો. કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 14 મેચમાં 55.82ની એવરેજથી 614 રન બનાવ્યા છે. હવે વિરાટ કોહલી સાઈ સુદર્શનથી 145 રન પાછળ છે. આવી સ્થિતિમાં, કોહલી માટે ફાઈનલ મેચમાં આટલા રન બનાવવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, સાઈ સુદર્શન ઓરેન્જ કેપ જીતશે.