
શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર રમત બતાવી રહી છે. જોકે, અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં ટીમ ઈન્ડિયા 2 મેચ હારી છે અને 1 મેચ જીતી છે. 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ આ મેચ 22 રનથી જીત્યું હતું. મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે પ્રેઝન્ટેશનમાં હારનું સાચું કારણ જણાવ્યું છે.
શુભમન ગિલે શું કહ્યું?
લોર્ડ્સ ટેસ્ટ હાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તે ખૂબ ગર્વ અનુભવે છે. તેણે કહ્યું, "પાંચ દિવસ સખત મહેનત કર્યા પછી, મને છેલ્લા સેશન, છેલ્લી વિકેટ અને અમારી મહેનત પર ખૂબ ગર્વ છે. હું ટાર્ગેટ ચેઝ કરવા માટે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો હતો. ઘણી બધી બેટિંગ બાકી હતી, તેથી મને ખૂબ વિશ્વાસ હતો, પરંતુ જે રીતે ઈંગ્લેન્ડ સતત એટેક કરતું હતું, અમે અમારા ટોપ ઓર્ડરમાં કદાચ 50 રનની પાર્ટનરશિપ બનાવવા માંગતા હતા, અમે તે ન કરી શક્યા અને તેઓ અમારા કરતા વધુ સારી રીતે રમ્યા."
તેણે વધુમાં કહ્યું કે, "એક સમયે અમે એવું વિચારતા હતા કે જો અમે 80-100 રનની લીડ લઈએ તો તે અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે છે, કારણ કે અમે જાણતા હતા કે આ વિકેટ પર પાંચમા દિવસે 150-200 રન ચેઝ કરવા સરળ નહીં હોય, તેથી અમે વિચારી રહ્યા હતા કે જો અમે 80 રનની લીડ લઈએ તો અમે સારી સ્થિતિમાં હઈશું."
મેચની સ્થિતિ
ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 387 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતીય ટીમે પણ 387 રન બનાવ્યા. કેએલ રાહુલે ભારત માટે પ્રથમ ઈનિંગમાં 100 રનની શાનદાર ઈનિંગ રમી. બીજા ઈનિંગમાં, ઇંગ્લેન્ડે 192 રન બનાવ્યા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ઈંગ્લેન્ડ 22 રનથી જીતી ગયું. ભારત સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડે 2-1થી લીડ મેળવી લીધી છે.