
Rajkot News: રાજકોટ જિલ્લાના ઉપલેટાના એસટી ડ્રાઇવર દ્વારા ડેપો મેનેજરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રાઇવરને વારંવાર હેરાન પરેશાન કરતા હોવાની બાબતથી ત્રસ્ત થઈ આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઉપલેટાના એસટી ડેપો મેનેજર રાજેશ ઠુંમર ઉપર ડ્રાઇવર તેમજ અન્ય કર્મચારીઓના હેરાન પરેશાન કરવાની બાબતે ગંભીર આક્ષેપ લાગ્યા છે.
વારંવાર વિવાદો વચ્ચે આવતા ઉપલેટાના એસટી ડેપો મેનેજર રાજેશ ઠુંમર વિરુદ્ધ વધુ એક વિવાદ સામે આવ્યો છે એસટી બસના ડ્રાઇવર સુભાષભાઈ કળસા દ્વારા ડેપો મેનેજરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ડેપો મેનેજર રાજેશ ઠુંમરને અગાઉ પણ બેદરકારીની બાબતમાં સસ્પેન્ડ કરાયા હોવાની પણ માહિતીઓ મળી રહી છે. જો કે, બસ ચાલકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તેમજ સમગ્ર મામલે પોલીસ દ્વારા ભોગ બનનાર વ્યક્તિનું નિવેદન લેવામાં આવ્યું છે.
રાજકોટમાં બેડી યાર્ડના વેપારીએ કર્યો આપઘાત
રાજકોટમાં બેડી યાર્ડના વેપારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા તલના વેપારીએ આર્થિક ભીંસને કારણે યાર્ડમાં પોતાની ઓફિસમાં ઝેરી દવા પીધી હતી. શશીકાંત ચંદારાણા નામના વેપારીએ ઝેરી દવા પીધા બાદ તેને સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમ્યાન વેપારીનું મૃત્યુ થયું હતું. અગાઉ હળવદમાં કરિયાણાના ધંધામાં પણ વેપારીને નુકસાન થયું હતું.