
દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની યોજના એટલે કે 'વન નેશન, વન ઈલેક્શન' પર વિચાર કરવા માટે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC) ની આગામી બેઠક 11 જુલાઈના રોજ યોજાશે. આ બેઠક દરમિયાન, સુપ્રીમ કોર્ટના બે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.એસ. ખેહર સમિતિના સભ્યો સાથે વાતચીત કરશે.
એકસાથે ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ
ભાજપે વર્ષ 2024ના ચૂંટણી ઢંઢેરામાં એક સાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. તેમની દલીલ છે કે તેનાથી ચૂંટણીનો ખર્ચ ઘટશે અને શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પરંતુ ઘણા રાજકીય પક્ષો અને કાર્યકરો દ્વારા આ પ્રસ્તાવનો સખત વિરોધ કરવામાં આવ્યો છે, જેઓ આરોપ લગાવે છે કે તે લોકશાહી જવાબદારી અને સંઘવાદને નુકસાન પહોંચાડશે. આ બિલમાં 2029માં પ્રક્રિયા શરૂ કરવાનો અને 2034 માં પ્રથમ એકસાથે ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે આપી છે આ ચેતવણી
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ CJI ચંદ્રચૂડે એપ્રિલમાં સમિતિને આપેલા પોતાના લેખિત સૂચનોમાં ચેતવણી આપી છે કે એકસાથે ચૂંટણીઓ યોજવાથી સારા સંસાધનો ધરાવતા રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, જેના કારણે નાના અથવા પ્રાદેશિક પક્ષો માટે રાજકીય સ્પર્ધા અસમાન બની શકે છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, 'ચૂંટણી ખર્ચ સંબંધિત નિયમો કડક કરવા જોઈએ. હાલમાં, ઉમેદવારો માટે ખર્ચ પર મર્યાદા છે, પરંતુ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર કોઈ સ્પષ્ટ મર્યાદા નથી. આ અસંતુલન ચૂંટણી પ્રક્રિયાને પૈસાની શક્તિ ધરાવતા પક્ષોની તરફેણમાં ઝુકાવે છે.'
મતદારોના અધિકારો અને પ્રતિનિધિત્વ
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે બીજો મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો કે જો સરકારનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં વિધાનસભા કે લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે, તો ભારતીય કાયદાઓ અનુસાર પેટાચૂંટણીઓ યોજી શકાય છે. આ ખાતરી કરે છે કે મતદારોનું પ્રતિનિધિત્વ થાય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ પ્રસ્તાવ બંધારણના 'મૂળભૂત માળખાના સિદ્ધાંત'નું ઉલ્લંઘન કરશે જો તે સાબિત થાય કે અલગ અલગ સમયે ચૂંટણીઓ યોજવી એ બંધારણની મૂળ ભાવનાનો ભાગ છે.
વિશ્વાસ મત અને લઘુમતી સરકારનો મુદ્દો
ભૂતપૂર્વ CJI એ પ્રસ્તાવિત કાયદાની જોગવાઈ સામે પણ વાંધો ઉઠાવ્યો છે જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સમય મર્યાદા નક્કી કરવાની વાત કરવામાં આવી છે. તેમણે તેને સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ ગણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ CJI એ કહ્યું, 'સંસદીય લોકશાહીનો મુખ્ય સિદ્ધાંત એ છે કે વડા પ્રધાનની આગેવાની હેઠળની મંત્રી પરિષદને હંમેશા ગૃહનું સમર્થન મળવું જોઈએ. જો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવે, તો આ સિદ્ધાંત નબળો પડી જશે. જો વિશ્વાસ મત પછી જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની મંજૂરી આપવામાં આવે, તો લઘુમતી સરકારો પણ સત્તામાં રહી શકે છે, જે લોકશાહીની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે.'
બંધારણમાં સુધારો કરવાનો પ્રસ્તાવ
આ બિલ હેઠળ, બંધારણમાં એક નવી કલમ 82 (A) ઉમેરવામાં આવશે, જે લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણીઓ યોજવાની વ્યવસ્થા કરશે. આ સાથે, કલમ 83, 172 અને 327 માં સુધારા પ્રસ્તાવિત છે. બિલ અનુસાર, આ સુધારો 2029ની સામાન્ય ચૂંટણીઓ પછી અમલમાં આવશે અને દેશમાં પહેલી વાર એકસાથે ચૂંટણીઓ 2034 માં યોજાશે. આ માટે, રાષ્ટ્રપતિ એક 'નિયુક્ત તારીખ' જાહેર કરશે.