મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે દરિયાપુર ગામે રહેતા સોનલબેન પઢિયાર પણ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે મારે સંતાનમાં ત્રણ દિકરીઓ છે. ત્યારબાદ દીકરો આવતા અમે બગદાણાની બાધા રાખી હતી. જેથી, હું મારા પતિ, દીકરા અને અન્ય સંબંધીઓ સાથે સવારે 7.00 વાગ્યે અમારા જમાઈની કાર લઈને બગદાણા જવા નીકળ્યા હતા. બ્રિજ તૂટતા જ અમારી કાર પાણીમાં ખાબકી હતી. અમારી કારના આગળના ભાગે એક ટ્રક પડતા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારનો પાછળનો દરવાજો ખૂલી જતા હું બહાર નીકળી ગઈ હતી. પાણીમાં ઉભા રહીને મેં મારા દીકરા તથા અન્યને બચાવવા માટે બૂમો પાડતી રહી પણ એક કલાક સુધી કોઈ જ મદદે આવ્યું નહોતું.

