
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે. ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઇન્ડિયાની કમનસીબ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશ હજુ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
વિમાન દુર્ઘટનામાં બચેલો એકમાત્ર મુસાફર હજુ પણ આઘાતમાં
પ્લેન ક્રેશની ઘટના બાદ વિશ્વાસકુમાર રમેશ આજે પણ અડધી રાત્રે અચાનક જાગી જાય છે અને પછી ઉંઘી શકતો નથી, તે લોકો સાથે વાત કરવાનું પણ ટાળે છે.
અમદાવાદમાં ગયા મહિને થયેલા પ્લેન ક્રેશમાં એકમાત્ર મુસાફર દીવના વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો જેના કારણે લોકોએ તેને નસીબનો બળિયો ગણાવ્યો હતો. જોકે, આ હોનારતમાં પોતાના ભાઇ અજને ગુમાવનારા વિશ્વાસકુમારને હાલ મનોચિકિત્સકોની મદદ લેવાની જરૂર પડી રહી છે.
વિશ્વાસ કુમારના પિતરાઇ ભાઇ સન્નીએ જણાવ્યું કે, 'અમારા ઘણા સ્વજનો વિદેશથી ફોન કરે છે અને વિશ્વાસ સાથે વાત કરવા માગે છે પરંતુ વિશ્વાસ કોઇ પણ સાથે વાત કરવાનું પસંદ કરતો નથી. પ્લેન ક્રેશ અને તેમાં તેના ભાઇના મૃત્યુના આઘાતમાંથી તે હજુ બહાર આવી શક્યો નથી, તેને ઉંઘવામાં પણ તકલીફ પડી રહી છે. અમે તેને બે દિવસ અગાઉ મનોચિકિત્સક પાસે લઇ ગયા હતા તેની સારવાર શરૂ જ થઇ હોવાથી લંડન પરત ફરવાનું તેણે હજુ કોઇ આયોજન કર્યું નથી. પ્લેનક્રેશ બાદ વિશ્વાસને પાંચ દિવસ સુધી સિવિલમાં સારવાર આપવામાં આવી હતી.