
કડી તાલુકાના વેકરા ગામે અમદાવાદના બિલ્ડર પર થયેલા હુમલા કેસમાં બાવલુ પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. બાવલુ પોલીસ સ્ટેશનના PSI એમ વી દેસાઈ નો DO કરી અરવલ્લી બદલી કરી દેવામાં આવી છે. જ્યારે બાવલુ પોલીસ મથકના તરુણસિંહ, ધવલસિંહ, દિલીપ રબારીની હેડ ક્વાર્ટર બદલી કરાઈ છે.
અમદાવાદના બિલ્ડર મનન પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો દાવો
કોર્ટ કમિશનની ઉપસ્થિતિમાં બિલ્ડર મનન પટેલ પોતાની જમીન ઉપર જતા મેહુલ રબારી સહિત 15 શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલાના 8 આરોપીઓ પણ પકડી લેવાયા છે. એક તરફ ગુજરાતભરની પોલીસે અસામાજીક તત્વો સામે કવાયત હાથ ધરી છે તો બીજી તરફ આવા લુખ્ખા તત્વોનો આતંક હજુપણ યથાવતરુપે જોવા મળી રહ્યો છે. કડીમાં વેકરા ગામ નજીક અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, જમીન બીજાના નામે કરી દેવાના સામે કોર્ટ કેસ ચાલતો હતો. કોર્ટ કમિશનના સુપ્રિટેન્ડેન્ટ સાથે ફરિયાદી પંચનામુ કરવા પહોંચ્યા હતા ત્યાં પંચનામુ કરવા જતા 15 શખ્સોએ હુમલો કર્યો હતો. લાકડી, ધારીયાથી માર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી.
ફરિયાદી પટેલ મનન અશ્વિનભાઈ પર હુમલો કરીને રોલેક્સ ઘડિયાળ, પ્લેટેનિયમ ગોલ્ડ ચેન, રિયલ ડાયમંડ બ્રેસ્લેટ તોડીને લઈ ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મનન પટેલે વેકરા ગામે વરખડીયાની સીમમાં 2021-22માં જમીન વેચાણ પર લીધી હતી. આરોપી મેહુલ રબારીએ જમીન પોતાના નામે કરી લીધી હતી. જેને લઈ કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અદાવત રાખી ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો. કુલ 15 વ્યક્તિઓના નામજોગ સાથે ફરિયાદ નોંધાવાઈ છે.
અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા મનન પટેલ અને તેમના ભાગીદાર રિમ્પલ પટેલ અને અમિત શાહ કોર્ટ કમિશન સાથે તેમના કડી ખાતે આવેલા વેકરા ગામે પંચનામું કરવા ગયા હતા ત્યારે જ જે આરોપી કે જેના પર આ પ્રકારના કેસ અગાઉ પણ નોંધાયેલા છે તેવા મેહુલ રઘુનાથ રબારીએ તેમના ૧૫થી વધુ ગુંડાઓ દ્વારા છરી, ધારીયા અને લાકડીઓ થી હુમલાઓ કરાવ્યા હતા.
કોર્ટ કમિશન અને નજીકના બાવલું પોલીસ સ્ટેશનના પોલીસની હાજરી હોવા છતાં આ લુખ્ખા તત્વોએ બિલ્ડરોને માર માર્યો હતો. હવે આ પ્રકારની ઘટનાઓના પગલે અમદાવાદના બિલ્ડરો તથા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં પણ ભયનો માહોલ છે.
પોલીસ સ્ટેશનના પી. આઈ. પરમાર પણ આ ઘટના પછી રજા પર ઉતરી ગયાના સમાચાર મળી રહ્યા છે અને કડી પોલીસ દ્વારા ચાર્જ સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પણ આ વિષયમાં કોઈ કામગીરી હજુ સુધી થઈ નથી. આ પ્રકારના રીઢા ગુનેગારો કુલ ૧૫થી વધુ આરોપીઓ હતા. જેમાંથી ફક્ત ૭ ગુનેગારોને પકડવામાં આવ્યા છે બાકીના હજી ફરાર છે.
સમાચાર એવા પણ મળી રહ્યા છે કે પોલીસની પણ આ કેસમાં કંઈક સાંઠગાંઠ હોય શકે કારણ કે ફક્ત દેખાડા પૂરતા લોકોને પકડવામાં આવ્યા છે અને આરોપીઓને પોલીસ સ્ટેશનમાં મહેમાન ની જેમ સાચવવામાં આવી રહ્યા છે. બિલ્ડરોને લોહી લુહાણ કરીને આ ટોળકી હવે આરામથી ફરાર થઈને ફરી રહી છે જેથી આ વિષયમાં કામગીરી કરવા અને નક્કર પગલાં લેવા ગૃહમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી રહી છે.