
ભારતમાં રેલવે મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે સર્વિસમાં અનેક નવા બદલાવ કરવામાં આવ્યા છે. જે જુલાઈ 2025થી લાગુ કરાશે. આ બદલાવોમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં વધારો, અંતરના આધારો ટિકિટની કિંમત, તાત્કાલિક ટિકિટ માટે આધાર કાર્ડ જરૂરી અને OTP આધારિત વેરિફિકેશન સહિતનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ રેલવે વિભાગે ટિકિટને લઈને શું બદલાવ કર્યા છે.
તત્કાલ ટિકિટ માટે આધાર વેરિફાઇ જરૂરી
તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. 1 જુલાઈ 2025થી IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા બુકિંગ પર તત્કાલ ટિકિટ ફક્ત તે લોકો માટે ઉપલબ્ધ છે જેમણે પોતાનો આધાર વેરિફાઇ કરાવ્યો હશે. ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરવા માટે, મુસાફરોએ પોતાનો આધાર નંબર IRCTC એકાઉન્ટ સાથે લિંક કરીને તેને વેરિફાઇ કરવાનો રહેશે.
જ્યારે ટિકિટ કાઉન્ટર અને એજન્ટ દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ કરાવતી વખતે OTP આપવાનો રહેશે. 15 જુલાઈ 2025થી કોમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટરો અને અધિકૃત રેલવે એજન્ટો દ્વારા બુક કરાયેલી તમામ તત્કાલ ટિકિટોને વધુ એક વેરિફિકેશનની જરૂર પડશે.
ઓથોરાઇઝ એજન્ટને લઈને લેવાયો નિર્ણય
1 જુલાઈથી ઓથોરાઇઝ એજન્ટ માટે કેટલાક ખાસ સમય પર ટિકિટ બુક કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમ થવાથી મુસાફરોને બુકિંગની પ્રાથમિકતા મળશે. એજન્ટો સવારે 10:00થી 10:30 વાગ્યા સુધી એસી ક્લાસ માટે ટિકિટ બુક કરી શકશે નહીં. જ્યારે એજન્ટો સવારે 11થી 11:30 વાગ્યા સુધી નોન-એસી ક્લાસ માટે ટિકિટ બુક કરી શકશે નહીં.
1 જુલાઈથી નવી ભાડા પ્રણાલી લાગુ
1 જુલાઈથી લાગુ કરાયેલી નવી ભાડા પ્રણાલીથી ઘણી મોટી અને ખાસ ટ્રેનો પ્રભાવિત થશે. હવે રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ, હમસફર, અમૃત ભારત, મહામના, ગતિમાન, અંત્યોદય, જન શતાબ્દી, યુવા એક્સપ્રેસ, એસી વિસ્ટાડોમ દ્વારા મુસાફરી મોંઘી થઈ શકે છે. નોર્મલ નોન-સબર્બન સર્વિસમાં 500 કિ.મી.થી વધુ અંતર માટે પણ નવું ભાડું લાગુ થશે. નવું ભાડું વિવિધ કેટેગરી અનુસાર નક્કી કરવામાં આવશે.
રેલવે બોર્ડ દ્વારા મુજબ, હવે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે. જેમાં જે ટ્રેનનો ઉપડવાનો સમય બપોરે 2 વાગ્યાથી પહેલા છે, તેમનો ચાર્ટ એક દિવસ પહેલા રાત્રે 9 વાગ્યે તૈયાર થશે. અગાઉ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા બનતો હતો.
નોન-એસી ટ્રેનોના ભાડામાં વધારો
1 જુલાઈ 2025થી ટ્રેન ભાડામાં ફેરફાર કરવામાં આવ્યા છે. સામાન્ય નોન-એસી ટ્રેનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સેકન્ડ ક્લાસના ભાડામાં પ્રતિ કિ.મી. અડધા પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં કેટલીક શરતો છે. 500 કિ.મી. સુધીની મુસાફરી માટે કોઈ વધારો થશે નહીં. 501થી 1500 કિ.મી.ના અંતર માટે 5 રૂપિયાનો વધારો થશે. 1501થી 2500 કિ.મી.ના અંતર માટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, 2501થી 3000 કિ.મી.ના અંતર માટે 15 રૂપિયાનો વધારો કરાયો છે.
ટ્રેન ભાડામાં ફર્સ્ટ ક્લાસ એસી માટે પ્રતિ કિ.મી. 0.5 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સેકન્ડ ક્લાસ માટે પ્રતિ કિ.મી. 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સ્લીપર ક્લાસમાં પ્રતિ કિ.મી. 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ફર્સ્ટ ક્લાસના ભાડામાં પ્રતિ કિ.મી. 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
રેલવે ભાડામાં તાજેતરના ફેરફારોમાં રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ અને અન્ય વધારાના ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બધા ચાર્જ પહેલાની જેમ યથાવત્ રહેશે. આ ઉપરાંત, પહેલાથી જ અમલમાં રહેલા નિયમો અનુસાર ટિકિટના ભાવ પર GST વસૂલવામાં આવશે. ભાડા રાઉન્ડિંગ સિદ્ધાંતો પણ પહેલા જેવા જ રહેશે.