અત્યાર સુધી તમે બોલિવૂડ ફિલ્મોમાં જોયું હશે કે લોકો હોશિયારી વાપરીને છેતરતા હોય છે. પરંતુ પંજાબના ફિરોઝપુરમાં ફિલ્મ જેવો જ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતા-પુત્રની જોડીએ કોઈ દુકાન, ખેતર કે મકાન નથી વેચ્યું, પરંતુ તેમણે ભારતીય વાયુસેનાની ઐતિહાસિક એરસ્ટ્રીપ વેચી નાખી છે, જ્યાંથી વર્ષ 1962, 1965 અને 1971માં આપણા બહાદુર ફાઇટર પાઇલટ્સે ત્રણ યુદ્ધોમાં દુશ્મનોનો સામનો કર્યો હતો. 28 વર્ષ પહેલા માતા-પુત્રની જોડીએ આ છેતરપિંડી આચરી હતી. જેનો ખુલાસો હાઇકોર્ટના નિર્દેશ અને વિજિલન્સ તપાસ પછી થયો હતો.

