
દેશભરમાં Waqf Act વિરુદ્ધ ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે યુપીની યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. યોગી સરકારે કૌશાંબી જિલ્લામાં 58 એકર વકફ મિલકતને મુક્ત કરીને તેને સરકારી જમીન તરીકે નોંધણી કરાવી છે.
યોગી સરકારે આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે દેશભરના મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી દળોએ ઘણાં રાજ્યોમાં વક્ફ કાયદા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. ઘણાં મુસ્લિમ સંગઠનોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી સરકાર આ કાયદો પાછો ખેંચી લે નહીં ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.
https://twitter.com/ANI/status/1912806948929519880
58 એકર જમીનની સરકારી ખાતામાં નોંધણી કરી
કૌશામ્બી જિલ્લા મેજિસ્ટ્રેટ મધુસુદન હુલગીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૯૮.૯૫ હેક્ટર જમીન વક્ફ બોર્ડ હેઠળ નોંધાયેલી છે. આમાંથી ૯૩ વીઘા (લગભગ ૫૮ એકર) જમીન વકફના કબજામાંથી મુક્ત કરીને સરકારી ખાતામાં નોંધણી કરવામાં આવી છે. કાયદાકીય તપાસ બાદ સરકારે આ કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વકફ બોર્ડ હેઠળ નોંધણી કરાવતા પહેલા આ જમીન ગ્રામ સમાજના નામે નોંધાયેલી હતી. આ જમીનના મોટા ભાગ પર મદરેસા અને કબ્રસ્તાનો બનાવવામાં આવ્યા હતા.
સરકાર આ મામલે કરી રહી છે તપાસ
કૌશામ્બી જિલ્લાના ત્રણેય તાલુકામાં તપાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. જે આ મામલે વધુ તપાસ કરી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે ચકાસણી પછી વધુ જમીન સરકારી કબજા હેઠળ લાવવામાં આવશે અને તેને સરકારી મિલકત તરીકે નોંધણી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સુધારો કરવામાં આવેલા વકફ કાયદા હેઠળ વકફ મિલકતોના યોગ્ય સંચાલન માટે જિલ્લા મેજિસ્ટ્રેટને વધુ સત્તા આપવા માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે.