
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એજબેસ્ટન ટેસ્ટમાં શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. 58 વર્ષ બાદ ભારતે ઈંગ્લેન્ડને એજબેસ્ટનમાં પરાજિત કરી રેકોર્ડ સર્જ્યો છે. ઐતિહાસિક જીત બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન શુભમન ગિલે એજબેસ્ટનની જીત પર આનંદ વ્યક્ત કરતાં ભારતને ટોણો મારનારા અંગ્રેજ પત્રકારની ટીખળ કરી હતી. તેણે કહ્યું કે, મારો ફેવરિટ પત્રકાર દેખાઈ રહ્યો નથી, ક્યાં છે?
ગિલે આપ્યો જડબાતોડ જવાબ
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ તે સમયે ઈંગ્લેન્ડના પત્રકારોએ એજબેસ્ટમાં ભારતના અત્યંત ખરાબ રેકોર્ડની ટીખળ કરી હતી. તેમજ ભારતને ટોણો મારતા ગિલને અનેક સવાલો કર્યા હતાં. તે સમયે તો ગિલે કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગઈકાલે જીત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગિલે તે ટિખળ કરનારા પત્રકારને યાદ કર્યો હતો. તેણે કહ્યું કે, મારો ફેવરિટ પત્રકાર દેખાઈ રહ્યો નથી. ક્યાં છે તે?
હું ઈતિહાસ અને આંકડા પર વિશ્વાસ કરતો નથીઃ ગિલ
પ્રથમ ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં 150થી વધુ રન બનાવનારા બેટર અને કેપ્ટન ગિલે કહ્યું કે, મેં ટેસ્ટ મેચ પહેલાં જ કહ્યું હતું કે, હું ઈતિહાસ અને આંકડાઓ પર વિશ્વાસ કરતો નથી. છેલ્લા 56 કે તેથી વધુ વર્ષોથી અમે અહીં નવ મેચ રમી છે. જુદી-જુદી ટીમ અહીં રમી છે. મને લાગે છે કે, ઈંગ્લેન્ડ આવનારી આ અમારી બેસ્ટ ટીમ છે. અમારી પાસે તેમને હરાવવાની અને સીરીઝ જીતવાની ક્ષમતા છે. અમે યોગ્ય નિર્ણયોની સાથે લડતાં રહ્યા. આ સીરીઝ યાદગાર બની છે.
એજબેસ્ટનમાં ભારતનો ઈતિહાસ
એજબેસ્ટનમાં છેલ્લા 58 વર્ષોમાં ઈંગ્લેન્ડ સામે 8 ટેસ્ટ મેચ રમી હતી. જેમાંથી સાતમાં પરાજય અને એક મેચ ડ્રો થઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ વખતે નવમી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને પરાજય આપી અનેરો રેકોર્ડ બનાવ્યો છે. એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગ આપી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 587 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 269, રવિન્દ્ર જાડેજાએ 89 અને યશસ્વી જયસ્વાલે 87 રન બનાવ્યા હતા. જેની સામે ઈંગ્લેન્ડે 407 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભારતે 6 વિકેટમાં 427 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ 271 રનમાં સમેટાઈ હતી. ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ અને બીજી ઈનિંગમાં આકાશદીપે 6 વિકેટ ઝડપી હતી. શુભમન ગિલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.