
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આ હારને કારણે ટીમ ઈન્ડિયા સિરીઝ પણ હારી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા વર્ષ 2012માં ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ગઈ હતી. એટલે કે કુલ 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને આવી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને છેલ્લી વખત એમએસ ધોનીની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કેવી રહી મેચ?
આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 113 રનથી હરાવ્યું છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ 79.1 ઓવરમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી અને તે 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે કિવી ટીમને 103 રનની લીડ મળી હતી.
ટીમ ઈન્ડિયા ટાર્ગેટ ચેઝ ન કરી શકી
ટેસ્ટ મેચની ત્રીજી ઈનિંગમાં કિવી ટીમ 103 રનની લીડ સાથે મેદાનમાં આવી હતી અને 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટીમ ઈન્ડિયા ચેઝ ન કરી શકી અને તે 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે ન્યુઝીલેન્ડે ઈતિહાસ રચ્યો અને ટીમ ઈન્ડિયાને બીજી મેચ અને સિરીઝ હરાવી છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની હાલત ઘણી ખરાબ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાના કેટલાક બેટ્સમેનોએ આ સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.
આ ખેલાડી રહ્યો જીતનો હીરો
ન્યુઝીલેન્ડની જીતમાં તેમના સ્પિન બોલરોની ભૂમિકા ઘણી મહત્ત્વની રહી હતી. ન્યુઝીલેન્ડે સ્પિન બોલિંગના આધારે આ મેચ જીતી હતી. આ મેચમાં મિશેલ સેન્ટનરે 13 વિકેટ લીધી હતી. જેમાં તેણે પ્રથમ ઈનિંગમાં 53 રન આપીને 7 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં તેણે 104 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાના સ્પિનરોનો પણ દબદબો રહ્યો હતો, પરંતુ ભારતીય ટીમ બેટિંગમાં થોડી નબળી રહી. જેના કારણે તેને બીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની ત્રીજી મેચ મુંબઈમાં 01થી 05 નવેમ્બર દરમિયાન રમાશે.